સફરેઈસ્લામ(safareislam)-07
image
માર્ગદર્શક :
સૈયદ મુહમ્મદ મદની દરિયાઈ

માનદતંત્રીઃ
ઈબ્રાહીમભાઈ વડિયાવાલા

સહાયકતંત્રીઃ
હિદાયત પરમાર

સંપાદક:
ડો. હાજીભાઈ બાદી

પરામર્શક :
મૌલાના ઝૈનુલઆબેદીન મિસ્બાહી

સંપાદકમંડળ:
૧.મૌ.નઝમુદીન કડીવાર ૨.અબ્દુલકૈયુમ વહોરા
૩.મૌ.ગુલામયાસીન અશરફી ૪.રેશ્માબહેન જત

ટેકનિકલ સહયોગ
૧. શાહિદ પટેલ ર. મકબૂલ માથકિયા
૩. નઈમ બાદી ૪. સાદિકખાન ખાનજાદા
સ્થાપક અને પ્રકાશક
સફરેઈસ્લામ ગૃપ
એડ્રેસઃ એટેન પેપર્સ એન્ડ ફોમ પ્રા.લિ.
તિર્મિઝી ટાવર, A-બ્લોક, 102-A શાહેઆલમ ટોલનાકા, અમદાવાદ: ૩૮૦૦૨૮

એડ્રેસઃ સફરેઈસ્લામ (માસિક)
મુ.પો.પંચાશિયા, તા.વાંકાનેર,
જિ.મોરબી. પીન: ૩૬૩૬૨૧.

web: www.safareislam.com
Email: info@safareislam.com
એહલે સુન્નત વ જમાઅતનું ઈ-મેગેઝીન

સફરેઈસ્લામ (માસિક)
(ઈસ્લામિક ગુજરાતી ડાયજેસ્ટ)

ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ માહેઃ રમઝાન
હિજરીસન: ૧૪૪૭
વર્ષ: ૦૧, અંક: ૦૭, સળંગઅંક: ૦૭
લવાજમ: ખિદમતેઈસ્લામ

સફરે ઈસ્લામ કોના માટે છે?

  • ઉર્દૂ અને અરબી નહીં જાણનારા સામાન્ય ગુજરાતી વાચકો માટે.

  • ધંધા-રોજગાર, ઓફિસ-મુસાફરી વગેરેમાં આપના મોબાઇલમાં વાંચવા સાંભળવા માટે.

  • શાળાઓ અને મદ્રેસાઓમાં ભણતા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ માટે.

હાર્દિક અપીલ

  • દીનેઈસ્લામ સંબંધિત કોઈપણ વ્યકિતને સેવા-સવાબના ભાવસાથે આ સામયિક સફરેઈસ્લામના ધારાધોરણ મુજબ શુદ્ધ ગુજરાતીભાષામાં લેખ લખી મોકલવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

  • આ સામયિકના તમામ લેખો શરઈ ચોકસાઈપૂર્વક પ્રગટ થાય છે, છતાં કોઇનાએ ધ્યાનમાં કોઈ ભૂલચૂક જણાયતો બિનચૂક અમારું ધ્યાન દોરશોજી.

  • સામયિક સંબંધી તમામ કામો માટેનું સંપર્ક સૂત્રઃ ૯૪૨૬૯૩૦૩૮૧,
    ૯૬૨૪૨૨૧૨૧૨

રોઝા અને રમઝાન

1. હિજરી સન બેમાં મોમીનો ઉપર રોજા ફર્ઝ થયા તથા ફિતરાનો સદકો વાજીબ થયો.
2. મહિનાઓમાં માત્ર રમઝાન માસનો જ નામોલ્લેખ કુરાને શરીફમાં આવે છે.
3. આલિમોનું કથન છે કે જો કોઈએ એવી માનતા માની કે હું રમઝાન બાદ અલ્લાહ માટે શ્રેષ્ઠ દિવસો (અફઝલુલ અયામ) માં રોઝા રાખીશ તો તેની ઉપર ઝિલ્હજ માસના પ્રથમ 10 દિવસના રોજા વાજીબ થઈ ગયા, કેમકે આખા વર્ષમાં રમઝાન બાદ આ 10 દિવસના રોઝાઓ સૌથી શ્રેષ્ઠ છે.
4.હદીસશરીફમાં છે કે જેણે ઝિલ્હજના અરફા (નવચાંદ)નું રોઝું રાખ્યું તો તેને અલ્લાહ તઆલા સાત વર્ષના રોઝા રાખવા જેટલો સવાબ આપે છે અને રોઝેદારનું નામ ખાસ બંદાઓ (કાનેતીન) માં લખવામાં આવશે.
5. હદીસમાં છે કે શબેકદ્રની રાતે ચાર ઝંડા આસમાન ઉપરથી ધરતી ઉપર નાઝિલ થાય છે.
1. લેવાઉલ હમ્દ.
2. લેવાઉલ રહેમત.
3. લેવાઉલ મગફેરત.
4. લેવાઉલ કરામત.
1. લેવાઉલ હમ્દ: આસમાન અને જમીન દરમિયાન ઉતરે છે.
2. લેવાઉલ રહેમત: કાબાશરીફ ઉપર ઉતરે છે.
3. લેવાઉલ મગફેરત: રસુલે ખુદા ﷺ ના રોઝા આ ઉપર ઉતરે છે.
4. લેવાઉલ કરામત: બૈતુલ
મુકદ્દસ ઉપર ઉતરે છે.
પ્રત્યેક ઝંડો દરેક મુસલમાનના ઘર ઉપર 70 વખત સલામ કરવા માટે આવે છે.
6. અલ્લાહના રસુલ ﷺ ફરમાવે છે કે એક ગોવાળ જેટલા સમયમાં પોતાની બકરીનું દૂધ દોહી લે તેટલા સમય પૂરતો પણ જો કોઈ ઈન્સાન લૈલતુલકદ્રની રાતે બંદગી કરવા માટે ઉભો રહેશે તો તે ઈન્સાન ખુદાની નજરમાં બારેમાસ રોઝા રાખનારથી પણ ઉત્તમ છે.
7. રસુલે ખુદા ﷺ એ ફરમાવ્યું છે કે અલ્લાહે ચાર મોઢા વાળો એક ફિરસ્તો પેદા કર્યો છે. તેના એક મોઢાથી બીજા મોઢા સુધીનો 80 વર્ષનો રસ્તો છે. આ ફિરસ્તાનું એક મોઢું રોજે કયામત સુધી સિજદામાં રહેશે અને તે ફિરસ્તો સિજદાની હાલતમાં દુઆ કરે છે કે હે અલ્લાહ ! હું સતત તારી તસ્બીહ (સ્મરણ-રટણ) કરું છું. તારું સૌંદર્ય (જમાલ) ચોક્કસ અદ્ ભુત અને અસાધારણ (અઝિમુશ્શાન) છે. પોતાના બીજા મોઢાથી દોઝખ તરફ જોઈને બોલે છે કે આમાં દાખલ થનારાઓ માટે અફસોસ છે. ત્રીજા મોઢા વડે જન્નત તરફ જોઈને બોલે છે કે આમાં દાખલ થનારાઓને મુબારકબાદી છે અને ચોથા મોઢાવડે અર્શેઈલાહી તરફ નજર કરીને કહે છે કે હે
અલ્લાહ ! તું ઉમ્મતે મોહંમદી ઉપર રહેમ કર અને રમઝાનના રોઝેદારોને અઝાબ ના દે અને એને દોઝખથી મુક્તિ (નજાત) આપ.
8. સરવરે આલમ ﷺ ફરમાવે છે કે અલ્લાહ કિરામન અને કાતેબિનને એવો હુકમ આપે છે કે રમઝાન માસમાં મારા હબીબની ઉમ્મતની માત્ર નેકીઓ જ લખો. તેમના ગુનાહ-બદીઓ ન લખો.
9. રોઝા ત્રણ પ્રકારના હોય છે.
1.અવામના રોઝા .
2.ખવાસના રોઝા.
3.અખ્સલ ખવાસના રોઝા.
એટલે કે સાધારણ રોઝેદારો, ખાસ રોઝેદારો અને ખાસ-ખાસ(સવિશેષ) રોઝેદારો.
1. સાધારણ રોઝેદારો ભૂખ અને શર્મગાહની ઈચ્છાઓને રોકે છે.
2. ખાસ રોઝેદારો પોતાના તમામ અવયવોની ઈચ્છાઓને રોકે છે.
3. ખાસ-વિશેષ રોઝેદારો પોતાના દિલને દીની-દુનિયાવી તમામ રૂકાવટો-અડચણોથી મુક્ત રાખીને માત્ર અલ્લાહમાં જ પોતાના દિલને લગાડે છે. આવા વિશેષ રોઝાઓ સિદ્દીકો અને પયગંબરો રાખતા હોય છે.
10. કેટલાંક ઉલેમાઓના જણાવ્યા મુજબ આપણા ઉપર 30 રોજા ફર્ઝ થવાનું રહસ્ય-હિકમત એ છે કે હઝરત આદમ عليه السلام ના પેટમાં તેમણે ખાધેલો ઘઉંનો દાણો 30 દિવસ સુધી રહ્યો હતો અને જ્યારે
તેમની તૌબા કબૂલ થઈ ત્યારે અલ્લાહે તેમને 30 રોઝા રાખવાનો હુકમ આપ્યો. એમના પ્રાયશ્ચિત-તૌબાના આ રોઝાઓ રાત અને દિવસના હતા,જ્યારે અલ્લાહે પોતાના હબીબની પ્યારી ઉમ્મત ઉપર તો માત્ર દિવસના જ રોઝા ફર્ઝ કર્યા છે.
11. રસુલે ખુદા ﷺ ફરમાવે છે કે અલ્લાહ તઆલાને રોઝેદારનું સંકોચાયેલું પેટ તમામ વાસણો (બર્તન)થી વધારે પસંદ છે.
12. રસુલે ખુદા ﷺ ફરમાવે છે કે રમઝાન માસમાં જે ઈન્સાન દીનની મજલિસમાં હાજરી આપશે તેના આમાલનામામાં તેના પ્રત્યેક કદમને બદલે એક વર્ષની ઈબાદતનો સવાબ લખવામાં આવશે અને તે અર્શની નીચે મારી સાથે રહેશે.
13. રસુલે ખુદા ﷺ ફરમાવે છે કે અલ્લાહ એ કહ્યું છે કે આદમની ઓલાદના તમામ કર્મો (આમાલ) તેના માટે છે, પરંતુ રોઝા એ માત્ર અને માત્ર મારા માટે છે. તેથી હું પોતે જ તેના રોઝાઓનો ખૂબ સુંદર બદલો આપીશ.
14. હદીસમાં છે કે રમઝાનમાં જે સ્ત્રી પોતાના પતિની મરજી મુજબ ચાલશે-વર્તશે તેને હઝરત મરિયમ અને હઝરત આસિયા જેવા મહાન ખાતુનોના જેવો સવાબ મળશે.
15. જે વ્યક્તિ રમઝાનમાં જમાતની સાથે જ
નમાજ પઢશે તો ખુદા તેને કયામતના દિવસે તેની દરેક રકાતના બદલામાં પોતાની બક્ષિસોથી ભરેલું આખું એક શહેર આપશે.
16. જેણે રમઝાનમાં પોતાના કોઈપણ મુસલમાન ભાઈની કોઈ પણ વાજબી હાજત-ઈચ્છા પૂર્ણ કરી તો રોજે કયામતના દિવસે ખુદા તેની એક હજાર ઈચ્છાઓ પૂરી કરશે.
17. રસુલે ખુદા ﷺ ફરમાવે છે કે કબરોમાંથી ઉઠતી વખતે ત્રણ પ્રકારના લોકો સાથે ફિરસ્તાઓ મુસાફો (હસ્ત ધૂનન) કરશે. જેમાં શહીદો, રમઝાનમાં બંદગી કરવાવાળા તથા અરફાના દિવસે રોઝું રાખવાવાળાઓનો સમાવેશ થાય છે.
18. એમ કહેવાય છે કે "સોવમ"માં ત્રણ અક્ષરો સમાયેલા છે.
1. "સ્વાદ" નફસને ગુનાહોથી દૂર રહેવાની ભલામણ કરે છે.
2. "વાવ" અલ્લાહ જોડેની ઈબાદમાં તમામ અવયવોને આદેશ આપે છે.
3. "મીમ" મનુષ્યને મોત આવે ત્યાં સુધી કાયમી રમઝાનમાં રોઝા રાખવાની હિમાયત કરે છે.
19. અલ્લાહના રસુલ ﷺ નું ફરમાન છે કે ખાઈપીને ભરેલા પેટે રડવું એના કરતાં રોઝાની હાલતમાં ભૂખ્યા પેટે ખુશ રહેવું એ શ્રેષ્ઠ ઈબાદત છે.
કયા આપ જાનતે હૈં:
લેખક: સૈયદ હસનૈનમિયાં બરકાતી.
મૂળ ઉર્દૂમાંથી અનુવાદક
ડૉ.હાજીભાઈ બાદી.
અનુક્રમણિકા પર પાછા જાઓ

ચાંદ મુબારક : રમઝાન મુબારક

ઈસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો (એકેશ્વરવાદ, નમાઝ, ઝકાત, રોઝા અને હજ્જ) માં ચોથો સ્તંભ : 'રોઝા'

જયારે મક્કાના કઠણાઈ ભર્યા દિવસો વિતાવ્યા પછી મુસલમાનોએ હિજરત કરીને મદીનામાં વસવાટ કર્યો.ગરીબી, તંગી, ભૂખમરો અને તકલીફોનો સમયગાળો દૂર થયો અને રાહતનો દમ લીધો. જીવન નિરાંત અને સવલતો વચ્ચે પસાર થવા માંડયું ત્યારે રમઝાનના રોઝા ફરજિયાત કરવામાં આવ્યાં. જો તકલીફ અને તંગીઓના દિવસોમાં રોઝાનો આદેશ આપવામાં આવ્યો હોત તો ઘણાં લોકો એવું સમજેત કે રોઝા ફકત મજબૂર અને ગરીબ કે પીડિતો માટે જ છે, ધનિકો અને સવલતો ધરાવનાર માટે નથી.

કુર્આનમાં મુસલમાનો પર રોઝા ફરજિયાત કરવાનો ઉલ્લેખ સ્પષ્ટ છે. પ્રતિવર્ષ એક માસ રમઝાનમાં ઉપવાસ કરવા એ મુસલમાનોની ધાર્મિક ફરજ છે. જેમ નમાઝ અને ઝકાતનો હેતુ ઈબાદત છે, તેવી જ રીતે રોઝા પણ ઇબાદત છે. રોઝા વિશે અલ્લાહ તઆલાએ કુર્આનમાં ફરમાવ્યું;

“હે ઈમાનવાળાઓ ! તમારા પર રોઝા ફરજિયાત કરી દેવામાં આવ્યાં, જેવી રીતે તમારા પહેલાંના પયગમ્બરોનાં અનુયાયીઓ માટે ફરજિયાત કરી દેવામાં
આવ્યાં હતાં. તેનાથી આશા છે કે તમારામાં તકવા (સંયમ અને ઇશભય)નાં ગુણો પેદા થશે. કેટલાંક નિયત દિવસોનાં રોઝા છે. જો તમારામાંથી કોઇ બીમાર હોય કે મુસાફરીમાં હોય, તો બીજા દિવસોમાં આટલી જ સંખ્યા પૂરી કરી લે અને જે લોકો રોઝા રાખવાની શક્તિ ધરાવતાં હોય (છતાં ન રાખે) તો તેઓ ફિદયો (બદલો) આપે.એક રોઝાનો ફિદયો એક જરૂરતમંદને ભોજન કરાવવું તે છે અને જે કોઈ સ્વેચ્છાએ કંઇક વધૂ ભલાઈ કરે, તો તેના માટે જ વધુ સારું છે. પરંતુ જો તમે સમજો, તો તમારા હિતમાં વધુ સારું એ છે કે તમે રોઝા રાખો. રમઝાન એ મહિનો છે, જેમાં કુર્આન અવતરિત કરવામાં આવ્યું, જે માનવજાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્ષણ ધરાવે છે, જે સીધો માર્ગ દેખાડનારું તથા સત્ય અને અસત્યનો ભેદ સ્પષ્ટ કરી દેનારું છે. એટલા માટે હવેથી જે વ્યક્તિ આ મહિનો પામે, તેના માટે ફરજિયાત છે કે આ આખા મહિનાનાં રોઝા રાખે, અને જો કોઇ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં પોતાના બાકી રહેલા રોઝાની સંખ્યા પૂરી કરે, અલ્લાહ તમારા
માટે સરળતા કરવા માગે છે, સખતાઈ કરવા નથી માંગતો. એટલા માટે આ પદ્ધતિ તમને બતાવવામાં આવી રહી છે, જેથી તમે રોઝાની સંખ્યા પૂરી કરી શકો અને જે માર્ગદર્શનથી અલ્લાહે તમને નવાજ્યા છે, તેના માટે અલ્લાહના મહિમાની અભિવ્યક્તિ અને એકરાર કરો અને આભારી બનો.” (સુરએ બકરહ, આયત : ૧૮૩-૧૮૫)

કુર્આનનું ઉપરોક્ત સંબોધન માનવીનાં ઈમાન, શ્રદ્ધા અને અંતરાત્માને જાગૃત કરે છે, આંતરિક ઈચ્છાઓને રોઝા માટે તત્પર કરે છે.

રોઝાનો ઉદ્દેશ્ય મનુષ્યને નિરર્થક તકલીફ કે ભૂખમરો વેઠવા માટે નથી. આ એક સાધના છે, જે તેના આંતરમનને માંજીને ચળકાટ લાવવાનું પ્રશિક્ષણ છે. અને માનવીમાં નૈતિક આત્મશુદ્ધિ પેદા કરે છે. તેનાં અવગુણો, દોષોને ધોવાનું કામ કરે છે. જયારે તે અલ્લાહના આદેશથી અવર્જિત (હલાલ) અને પવિત્ર વસ્તુઓ પાણી, ખોરાક અને પત્ની સાથેના સહશયન (સંભોગ)ને છોડી આજ્ઞાંકિત બની શકે તો વર્જિત (હરામ) વસ્તુઓ તરફ કેવી રીતે આકર્ષાશે? પછી મનેચ્છાઓ પર તેનો કાબૂ હશે, તે મનનો ગુલામ બનતો નથી. આધ્યાત્મિક્તા અને સંયમના ઉજાસથી
તેનું મન પ્રકાશિત થશે. અને કુર્આનનો આ જ આદેશ, “જેથી તમે સંયમી (પરહેઝગાર) બની જાઓ.” નો ઉદેશ્ય પ્રાપ્ત થાય છે.

રમઝાન અને રોઝાની વિશેષતા તથા તેનું મહત્ત્વ :
રમઝાન માસમાં રોઝા ફરજિયાત કરવાનું સૌથી મોટું કારણ એ છે કે આ માસમાં જ કુર્આનનું અવતરણ થયું અને ભટકેલી માનવતાની પ્રભાત થઈ. એટલે સર્વથા એ ઉચિત હતું કે, જેવી રીતે પ્રભાતથી ઉપવાસ (રોઝા) ની શરૂઆત થાય છે. તેવી જ રીતે રમઝાન માસને પણ જેમાં એક લાંબી, અંધારીકાળી રાત્રિ પછી માનવતાની પ્રભાત થઇ તેથી તેને સમગ્ર માસના રોઝા સાથે જોડી દેવામાં આવ્યો. આ માસની વિશેષતા એ પણ છે કે રહમત, બરકત, આધ્યાત્મિકતા અને આંતરિક શુદ્ધતામાં બીજા માસની સરખામણીમાં શ્રેષ્ઠ હતો. તેના દિવસો રોઝા (અંતઃકરણથી શારીરિક ઉપાસના) અને રાત્રિઓને ઇબાદત (નમાઝ,સ્મરણ, કુર્આનનું પઠન)થી સજાવવી વધુ ઉચિત હતી.

કુર્આન અને રોઝાનો વિશેષ ઘનિષ્ઠ સંબંધ છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) રમઝાન માસમાં કુર્આનનું ખૂબ વધારે પઠન કરતા હતા. હઝરત ઇબ્ને અબ્બાસ
(રદી.) વર્ણવે છે કે, “રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સૌથી વધુ ઉદાર અને દાનશીલ હતા. અને રમઝાન માસમાં આપની દાનશીલતા પુષ્કળ વધી જતી. અલ્લાહના ફરિસ્તા જીબ્રઇલ (અલૈ.) રમઝાનની મુલાકાતવેળા આપ દાન, ઉદારતા, સહ્દયતા અને સતકર્મોમાં હંમેશા તત્પર દેખાતાં. ”

ઈબાદત અને સત્કર્મોની વિશ્વવ્યાપી વસંતઋતુ : રમઝાન.
રમઝાન અલ્લાહની ઇબાદત (ઉપાસના), તેનું સ્મરણ, કુર્આનનું પઠન,મનેચ્છાઓ પર સંયમની એક એવી વિશાળ વિશ્વવ્યાપી ઋતુ અને સત્કર્મોની વસંત છે. જેમાં સમગ્ર વિશ્વના મુસલમાનો શિક્ષિત-અભણ, અમીર-ગરીબ,શક્તિશાળી-નિર્બળ દરેક વર્ગના લોકો એકબીજાના સહૃદયી અને સહાનુભાવી જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં રમઝાન એક જ સમયે દરેક શહેર, ગામ, ઉમરાવોના મહેલ કે નિર્ધની ઝૂંપડીમાં છવાઈ જાય છે. કોઇની પોતાની મરજી ચાલી શકતી નથી, વિશ્વસ્તરે એક જ સમયે હોય છે, જાણે એવું પ્રતીત થાય છે કે સમગ્ર ઇસ્લામી સમાજને રમઝાનના એક તાંતણે પરોવી એક પ્રકાશિત તંબુ બાંધવામાં આવ્યો હોય.

જેઓને રોઝા રાખવામાં આળસ આવતી
હોય તેઓ પણ મુસ્લિમ સમાજથી વિખૂટા પડી જવાના ડરથી રોઝા રાખવા વિવશ થાય છે. બીમારો અને મુસાફરો જેમને શરઈ કાનૂને છૂટછાટ આપી છે અને કેટલાંક કોઇ અન્ય કારણસર રોઝા નથી રાખી શકતાં તેઓ છુપાઇને શરમ સાથે ખાન-પાન કરે છે.

રમઝાનમાં સામુહિક રીતે વિશ્વવ્યાપી ઇબાદતથી એક એવું વાતાવરણ ઊભું થાય છે જેથી તમામને રોઝા રાખવા સરળ થાય છે અને કઠોર દિલ પણ નરમ થઇ જાય છે. નમ્રતા, સાહજિક્તા, પરસ્પર સંવેદના અને એકબીજાને મદદરુપ થવાનાં કાર્યોથી માનવીનું મન નિર્મળતા તરફ આકર્ષિત થાય છે.

રાત્રિના અંતભાગ-પ્રાતઃકાળનું ભોજનઃ સેહરી
રોઝા માટે રાત્રિના અંતિમ સમય પ્રાતઃકાળ-પરોઢિયે ખાણું ખાવામાં આવે છે. જેથી રોઝા માટે શક્તિ પ્રદાન થાય અને ભૂખ-તરસથી વધુ હેરાન ન થવાય, તેને ઇસ્લામની પરિભાષામાં ‘સેહરી’ કહેવામાં આવે છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ કહ્યું ; સેહરી ખાવ એટલા માટે કે સેહરી માં બરકત (વૃદ્ધિ ) છે. સેહરી કરવી આપનું અનુસરણ છે. અને આપે તેનો આગ્રહ પણ રાખ્યો છે.

રસૂલુલ્લાહ
(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ઇફ્તાર (પારણા)માં મોડું કરવાથી મનાઇ કરી છે. આપનો નિત્યક્રમ હતો કે સુર્યાસ્ત થાય એટલે નમાઝ પહેલાં ઇફતાર (પારણા) કરી લેતાં. તાજી ખજૂર અથવા સૂકી ખજૂર પણ ખાઇ લેતાં અને થોડા ઘૂંટ પાણી પીતા.

રોઝાનો હેતુ અને તેની સુરક્ષા :
ઈસ્લામી શરીઅતની ખૂબી છે કે તેમાં રોઝાના બાહ્ય સ્વરૂપ સાથે તેના આંતરિક સાર અને અગત્ય પર પણ ભાર મૂકયો છે. ઉપવાસી (રોઝેદાર)ને ફકત ખાવા-પીવા કે શરીરસુખની મનાઇ કરી નથી, પરંતુ તે દરેક બાબતો નિષિદ્ધ કરી છે, જે રોઝાના ઉદ્દેશ્યને અનુરૂપ ન હોય. રોઝા દ્વારા માનવીમાં વિનય, સંયમ, નજર અને જીભની પવિત્રતાનો ગુણ પેદા કરવાનો છે. રોઝાનો વાસ્તવિક ઉદ્દેશ્ય માનવીને સદાચારી-સંસ્કારી બનાવવાનો છે.

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ કહ્યું;

“જયારે તમારામાંથી કોઇ વ્યક્તિ રોઝાથી હોય તો તેણે પોતાના મોઢેથી અશ્લીલ વચનો ન કાઢવાં જોઇએ. કોઇથી લડાઈ ઝઘડો કરીને ઊંચા અવાજથી અપશબ્દો ન બોલવાં જોઇએ. જો બીજી વ્યક્તિ તેને ગાળ આપે કે લડવા પ્રેરે
તો તેણે કહી દેવું જોઇએ કે તે રોઝાથી છે.” (બુખારી શરીફ)

એક અન્ય હદીષમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ કહ્યુ; “જેણે જૂઠ બોલવાનું અને મિથ્યાચારનો વયવહાર ન છોડયો તો અલ્લાહને તેની કોઇ આવશ્યકતા નથી કે તે ખાવા-પીવાનું ત્યજી દે.” (બુખારી શરીફ)

"જે રોઝામાં સંયમ ન હોય તે આત્મા વિનાના શરીર જેવો છે."

એક અન્ય હદીષમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ કહ્યું; “કેટલાંક રોઝેદાર એવા છે જેમને (ફક્ત) ભૂખ-તરસ સિવાય કંઇજ પ્રાપ્ત થતું નથી. અને કેટલા એવા બંદા (ભક્ત) છે જેઓ રાત્રિઓમાં ઉજાગરા સિવાય કઇ જ મેળવતાં નથી. રોઝા (બુરાઇઓ વિરુદ્ધ) ઢાલ છે, જયાં સુધી (તમે) તેને ફાડી ન નાંખો.” (બુખારી શરીફ)

રોઝા ફકત અમુક બંધનો જેમકે અન્ન-જળ, નિંદા-કૂથલી, ઝઘડા-અનિષ્ટોથી રોકાવવાનું નામ નથી. રોઝા તો એક પ્રકારનું પ્રશિક્ષણ છે. જેમાં સામાન્ય દિવસો કરતાં કુર્આનનું વિશેષ પઠન, અલ્લાહનું સ્મરણ, પરસ્પર સ્નેહ, એકબીજાને મદદરૂપ થવાની લાગણી ઉભારવાની અને જીવનમાં ઉદ્ભવેલાં અવગુણો અને દોષોને દૂર કરવાનો શ્રેષ્ઠ
સમયગાળો છે.

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ કહ્યું;

“જે કોઈ વ્યક્તિ આ માસમાં નફિલના કાર્યથી અલ્લાહનું સાંનિધ્ય પ્રાપ્ત કરવા ઇચ્છશે તે કાર્ય અન્ય દિવસની સરખામણીમાં ફરજ કાર્યની બરાબર ગણવામાં આવશે. અને જે કોઇ આ દિવસોમાં ફરજ કાર્ય પૂરું કરશે તે અન્ય દિવસની સરખામણીમાં સિત્તેર ફરજ પુરાં કરવા બરાબર ગણાશે. આ ધીરજ અને સહાનુભૂતિ રાખવાનો મહિનો છે, અને ધીરજનું ફળ નિઃશંક જન્નત (સ્વર્ગ) છે.”

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ કહ્યું;

“જે કોઇ રોઝેદાર (ઉપવાસી)ને પારણા (ઇફતાર) કરાવે તેને રોઝેદાર જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે, અને રોઝેદારના પુણ્યમાં કોઇ ઘટાડો થશે નહીં.”

રમઝાનમાં ઈશાની નમાઝ પછી આ પવિત્ર માસની પ્રતિષ્ઠા રૂપે વિશેષ સ્વૈચ્છિક નમાઝ સમૂહમાં પઢવામાં આવે છે, જે તરાવીહ કહેવામાં આવે છે. જેમાં વિશેષરૂપે કુર્આનનું કંઠસ્થ પઠન કરવામાં આવે છે.
રમઝાન માસમાં મુસલમાનોની ધાર્મિક ભાવના વધુ વિકસે છે.અંતરશૂદ્ધિ, સદાચરણ અને સચ્ચાઇ તરફ પ્રેરિત થાય છે તથા
ગુનાહોથી પ્રાયશ્ચિત, અલ્લાહ તરફ ખેંચાણ અને ગરીબ જરૂરતમંદની મદદ કરવા હાથ લાંબા થાય છે. આમ આ તમામ બાબતો રોઝા, કુર્આનનું પઠન, અલ્લાહનું સ્મરણ,અને શારીરિક અને આર્થિક ઈબાદતો તથા વિશેષ ઇબાદતો દ્વારા રમઝાન માસને એક વૈશ્વિક ઇબાદતની ઋતુ અને અલ્લાહના નેક બંદાઓ માટે તહેવાર બનાવી દેવામાં આવ્યો છે.

એતિકાફ
રમઝાનનાં છેલ્લા દસ દિવસોમાં એતિકાફ (મસ્જિદમાં સતત દસ દિવસ રોકાણ) કરવો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ઉચિત અનુસરણ અને અલ્લાહનું સાંનિધ્ય તથા પુણ્ય પ્રાપ્તિનું માધ્યમ છે. રમઝાનનો મુખ્ય હેતુ અને સમાપનનો અવસર છે. એતિકાફ દરમિયાન મસ્જિદમાં જ, અલ્લાહના દરબારમાં અડિંગો જમાવી બેસી ઇબાદતમાં લીન રહેવાનું હોય છે. નમાઝ, કુર્આનનું પઠન, અલ્લાહનું સ્મરણ, અલ્લાહની પ્રશંસાના બોલ (અલ્હમ્દુલિલ્લાહ) અલ્લાહથી ગુનાની માફી અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પર પુષ્કળ પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવામાં વ્યસ્ત રહેવું સૌથી શ્રેષ્ઠ ઇબાદત છે.

એતિકાફ દરમિયાન મળ-મૂત્ર
ત્યાગ કે સ્નાનાદી સિવાય મસ્જિદની બહાર નીકળવાની મનાઇ હોય છે. વુઝૂ પણ મસ્જિદની હદમાં જ કરવામાં આવે છે.

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) રમઝાનના અંતિમ દસ દિવસોમાં નિયમિત એતિકાફ કરતા હતા. જે વર્ષે આપનું અવસાન થયું તે વર્ષે વીસ દિવસનો એતિકાફ કર્યો હતો.

શબે કદ્ર : ઇબાદતની વિશિષ્ટ રાત્રિ
રમઝાનનાં અંતિમ દિવસોમાં અલ્લાહ તઆલાએ શબે કદ્ર નિશ્ચિત કરેલ છે.

આ રાતની વિશેષ કૃપાઓ અને ઇનામો પોતાના નસીબમાં લખાવી મુસલમાનો અલ્લાહની યાદ, સ્મરણ, કુર્આનનું પઠન અને ગુનાની ક્ષમા-યાચનામાં સતત રત રહે છે. રમઝાનનાં અંતિમ દસ દિવસોમાં રસૂલુલ્લાહ સલ્લલલાહુ અલયહિ વ સલ્લમ) જાગરણ કરતા અને ઘરવાળાઓને પણ જગાડતાં. આપે ફરમાવ્યું; રમઝાનની અંતિમ દસ રાત્રિઓમાંથી એકી સંખ્યાની (એટલે કે ૨૧,૨૩,૨૫,૨૭,૨૯) રાત્રિઓમાં શબે કદ્ર શોધો.

અલ્લાહ તઆલા શબે કદ્રનો મહિમા વર્ણવતાં કુર્આનમાં ફરમાવે છે કે,

“નિઃશંક, અમે જ આ (કુર્આન)ને શબે કદ્રમાં ઉતાર્યું છે. અને આપને કંઈ ખબર છે કે શબે કદ્ર કેવી છે
? શબે કદ્ર હજાર માસથી શ્રેષ્ઠ છે. તે રાત્રે ફરિસ્તાએ પોતાના પરવારદિગારના હુકમથી દરેક (નિર્માણ થયેલાં) મહાન કામ લઈ (પૃથ્વી પર ) ઊતરે છે. (તેમજ તે રાત્રે) સંપૂર્ણ સલામતી છે. તે (આખી) રાત પરોઢ સુધી (બરકતવાળી) છે.” (સૂરએ કદ્ર)

ઈદ - રમઝાનનું સમાપન :
*******

ખુશી અને મિલનના દિવસો એટલી ઝડપથી પસાર થઇ જાય છે કે ખબર પડતી નથી. અલ્લાહની ઇબાદત અને મુહબ્બતમાં લીન રહેનારાં નેકદિલ બંદાઓના દિલ ભરાતાં નથી અને ચાંદ રાત આવી જાય છે ! રમઝાન પોતાની અસીમ જાહોજલાલી અને સુંદરતાનો તંબુ બીજા વર્ષે મળવાનાં વાયદે ઉઠાવે છે. અલ્લાહના નેક બંદાઓ ભગ્ન અને તડપતાં હૈયે તથા ભીની આંખે રમઝાનને વિદાય આપે છે. અલ્લાહનો એક મહેમાન વિદાય લે છે અને બીજો આવે છે. રમઝાન માસનાં દિવસોમાં ખાવું ગુનો હતું આજે ઇદના દિવસે ન ખાવું ગુનો બને છે. ઇદ અલ્લાહનું ઈનામ છે.

સામાન્ય રીતે ઈદની તૈયારી કેટલાંક દિવસ પહેલાં શરૂ થઇ જતી હોય છે. ઇદની આગલી રાત્રે બજારોમાં ચહલ-પહલ, દોડધામ અને ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. અલ્લાહના
નેક બંદાઓ રાત્રિ જાગરણ કરી બંદગીમાં મસ્ત રહે છે, તો કેટલાંક વહેલી સવારે જાગી ઈદની નમાઝની તૈયારીમાં લાગે છે.

ઇદની નમાઝ પૂર્વે પોતાની શક્તિ મુજબ ખજૂર, શિરખુરમા કે અન્ય વાનગીનો નાસ્તો કરવામાં આવે છે. નવા કે શ્રેષ્ઠ કપડાં પહેરી ખુશ્બૂ લગાડી નમાઝ માટે ઇદગાહ તરફ સૌ સમૂહમાં જવા નીકળે છે. નમાઝ માટે જતી વખતે ઉંચા અવાજે અલ્લાહની મહાનતા, પ્રતિષ્ઠા અને આભારના શબ્દો ઉચ્ચારવામાં આવે છે. ઇદગાહ જતાં પહેલાં તમામ સભ્યદીઠ થોડું અનાજ કે રોકડ રકમ રમઝાન માસનાં રોઝાના આભાર વ્યક્ત કરવા માટે ગરીબ અને જરૂરતમંદ સુધી પહોંચાડવામાં આવે છે. જે સદકએ ફિત્ર કહેવાય છે. (અનાજમાં જો ઘઉં આપવામાં આવે તો પોણા બે કિલો વજન અન જવ હોય તો સાડા ત્રણ કિલો વજન અથવા વર્તમાન સમય મુજબ તેની કિંમત આપવામાં આવે છે.)

ઈદની નમાઝ સૂર્યોદય પછી જેટલી વહેલી પઢવામાં આવે તે શ્રેષ્ઠ છે. ગામ કે શહેરનાં બધાં જ મુસલમાનો ઇદગાહમાં ભેગાં થઇ સામુહિક રીતે નમાઝ અદા કરે છે. જયારે ઇદગાહમાં ઇદની નમાઝ માટે જતી વેળા એક રસ્તે જવું અને
પાછા ફરતી વેળા બીજા રસ્તે આવવું તે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું અનુસરણ છે.

રોજ પઢવામાં આવતી પાંચ વખતની નમાઝોથી તદ્દન જુદી રીતે આ નમાઝ પઢાય છે.ઈદની નમાઝ માટે અઝાન પોકારવામાં આવતી નથી,પણ માત્ર ઈકામત કહેવામાં આવે છે. તમામ મુસલમાનો એકઠાં થઇ જાય ત્યારે ઇમામ સામુહિક નમાઝ પઢાવે છે.આ નમાઝમાં વધારાની છ તકબીર વધુ પઢવામાં આવે છે. મુસલમાનો ઇદગાહમાં સમુહમાં બે રકઅત નમાઝ પઢી અલ્લાહનાં આભારી અને આજ્ઞાકારી બંદા હોવાનો પુરાવો આપે છે. નમાઝ પૂર્ણ કર્યા પછી ઇમામ પ્રવચન (ખુત્બો) આપે છે. જે સમય, સંજોગ અને મુસ્લિમ સમુદાયની સ્થિતિ આધારિત માર્ગદર્શન હોય છે.

લેખક : હિદાયત પરમાર
અનુક્રમણિકા પર પાછા જાઓ

સખાવત અને રમઝાન

અલ્લાહપાકના ફઝલોકરમથી માહે રમઝાન રહેમત,મગફિરત અને નજાત, એમ એના ત્રણ અસરા-તબક્કામાંથી અત્યારે મગફિરતના વચલા ગાળામાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. તમામ ઉમ્મતોમાં આપણે સરદાર છીએ,તમામ નબીઓમાં આપણા નબી સરદાર છે,તમામ મખ્લૂક-સજીવસૃષ્ટિનો સરદાર ઈન્સાન છે,દિવસોનો સરદાર જુમ્મા છે,એમ મહિનાઓનો સરદાર માહે રમઝાન છે દાદા આદમથી માંડી છેક આપણા આકા હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ સુધીના તમામે તમામ નબીઓ ઉપર રોઝા ફર્ઝ હતા. કોઈને સપ્તાહમાં એક તો કોઈને મહિનામાં ત્રણ અથવા અન્ય દિવસો હોય એમાં રોઝા ફર્ઝ હતા, જ્યારે કોઈને પણ આખે આખો મહિનો, પૂરા 29-30 દિવસ રોઝા ફર્ઝ મળ્યા હોય એવી માત્ર અને માત્ર એક ઉમ્મતે મોહમ્મદી છે. અલ્લાહપાકે શા માટે આવું કર્યું હશે? કેમ કે અલ્લાહ પાકને તમામ પયગંબરોમાં આપણા આકા ﷺ અને તમામ ઉમ્મતોમાં આપણે સૌથી મહેબૂબ છીએ. પોતાના હબીબની પ્યારી ઉમ્મત જ્યારે કબર અને મેદાને મહેશરમાં આવે ત્યારે તે ગુનાહોથી પાક-સાફ હોય માટે અલ્લાહ પાકે પૂરા 30 દિવસનો રમઝાન મહિનો આપણને આપ્યો
છે.
1. આપણા પ્યારા આકા ﷺ ના ફરમાન મુજબ ખુદા ખુદ ફરમાવે છે કે ઈબ્ને આદમના તમામ અમલો જેવાકે કલમો, નમાઝ,ઝકાત,હજ,ખેરાત,સદકા,ફિતરા,કુરબાની વગેરે ઈન્સાન ખુદના માટે છે, જ્યારે રોઝા એ મારો બંદો માત્ર મારા માટે જ રાખે છે બાકીની બધી ઈબાદતોના વત્તાઓછા સવાબો નક્કી છે, પણ રોઝાનો કોઈ સવાબ નક્કી નથી.મારા બંદાની મારા માટેની ભૂખ અને તરસ વેઠવાને બદલે તેનો અઢળક-અગણિત, સવાબ-બદલો હું મારી મરજી મુજબ આપીને એને નવાજીશ. 2. આપણા આકા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું તો ફરમાન છે કે રમઝાનમાં કોઈ પોતાના મુસલમાનભાઈની હાજત પૂરી કરશે તો કયામતના દિવસે અલ્લાહપાક એમની એક હજાર હાજતો પૂરી કરશે.
3. આકા ﷺ નું ફરમાને આલિશાન છે કે રમઝાન શું ચીજ છે એનું સઘળું રહસ્ય અગર મારી ઉમ્મત જાણી-સમજી જાય તો એ દિલથી તમન્ના કરે કે અમારા માટે એક માસ નહીં, પણ આખું વર્ષ-કાયમી અમને રમઝાન આપો.
4. એક રિવાયત છે કે અલ્લાહ પોતાના અર્શને ઉઠાવનાર ફિરસ્તાઓને રમઝાનમાં ખાસ આદેશ આપે છે કે તમે તમારી બીજી ઈબાદતો છોડીને
ભૂખ્યા-પ્યાસા મારા રોઝેદાર બંદાઓ જ્યારે મારી બારગાહમાં એની નવરાશે દુઆ માંગે ત્યારે તમે એના ઉપર આમીન કહો. હું એની દુઆ કબૂલ કરીશ.
5. નમાઝ,સિજદા, તસબીહ વગેરે ફિરસ્તાઓ અને બીજી મખ્લૂકો પણ અદા કરે છે,જ્યારે રોઝા એ માત્ર અને માત્ર ઈન્સાનની જ આગવી ઈબાદત છે.
ફિરસ્તા,જિન્નાત કે અન્ય કોઈ મખ્લૂક ઉપર રોઝા ફર્ઝ નથી.
આ તો નમૂના રૂપ બે-પાંચ હદીસો-રિવાયતો જ મૂકી છે. કોઈને સવિશેષ રસ-સમય અને અનુકૂળતા હોય તેઓ ફૈઝાને રમઝાન નામની 465 પેજિસની દાવતે ઈસ્લામીની કિતાબ જોઈ શકે છે.
ઈન્સાન અલ્લાહની ત્રણ પ્રકારે ઈબાદત કરે છે.1.માલી 2.બદની 3.જબાની.
1.માલી ઈબાદતોમાં ખેરાત,સદકા, ઝકાત,ઉશ્ર અને હજ વગેરેનો સમાવેશ થાય છે.
2.બદની યાને કે શરીરથી થતી ઈબાદતોમાં નમાઝ,રોઝા, નવાફિલ વગેરેનો સમાવેશ થાય છે.
3.જબાની યાને જીભથી થનારી ઈબાદતોમાં વિર્દ-વઝાઈફ,તસબીહ વગેરેનો સમાવેશ થાય છે.
આ દરેક ઈબાદત પોતપોતાના સ્થાને ખૂબ જ મહત્વની છે,જે અમીર-ગરીબ સૌને સમાન રીતે અસર કરે છે,
જે કોઈપણ કરી શકે છે, પણ માલી ઈબાદત એક જ એવી ઈબાદત છે જે ફક્ત માલદારો-અમીરવર્ગ જ અદા કરી શકે છે. કોણ છે અમીર !!! જે ફકિર નથી તે અમીર છે. કોણ છે ફકિર!!! જે ફકિર છે તેને સાંજે ભાગ્યમાં હતું તે જમી લીધું. સવાર માટે સાવ બેફિકર તે ફકિર.ફકીરીના આ કાનૂન મુજબ આપણે ક્યાં-કેટલા અમીર છીએ,ખુદાએ આપણને કોને- કેટલા અમીર બનાવ્યા છે તે અંગે પૂછવાનો આપણને કોઈ અધિકાર નથી. એ અધિકાર માત્ર આપણને ખુદને એટલે કે વ્યક્તિ પોતાને જ પૂછે. કારૂન પોતાના માલોદોલતને કારણે જ બરબાદ થઈ ગયો.આકા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે પણ એમની ઉમ્મત તરીકે આપણને ચેતવણી આપી છે કે દરેક પયગંબરની ઉમ્મત કોઈને કોઈ કારણે બરબાદ થઈ ગઈ છે.તો હાજર અસ્હાબોએ પૂછ્યું કે હે આકા! આપની ઉમ્મત તરીકે અમે કેવી રીતે બરબાદ થઈ જાશું? ત્યારે આપે ફરમાવ્યું કે હદ થી વધારે માલો-દુનિયાની મહોબ્બત તમારી બરબાદીનું કારણ બનશે.કારૂનનો ખજાનો એટલો વિશાળ હતો કે માત્ર તેની ચાવીઓ 70(સિત્તેર) ઊંટો ઉપર રાખવી પડે એટલો મોટો જથ્થો એ ચાવીઓનો હતો. આની
તુલનામાં આપણે તો કયાંયે કોઈ ગણતરીમાં જ નથી. કારૂન બરબાદ થયો અને આપણે આપણા આકાના સદકા-વસીલાથી આજે પણ આબાદ છીએ તેનું કારણ આપણી પાસે જે કાંઈ થોડું-ઘણું છે એમાંથી કંઈક ને કંઈક ઈસ્લામના નિયમ મુજબ આપણે ખેરાત, ઝકાત,સદકારૂપે આપતા આવ્યા છીએ તે છે.
અલ્લાહના કલામ કુરાને પાકમાં 150(એકસો પચાસ)જગ્યાએ ખેરાત-સદકાની તાકીદ કરી છે.આ તાકીદ છે,ભલામણ નથી. અલ્લાહના રસુલ ﷺ પણ ફરમાવ્યું છે કે "સખાવતના ઝાડનું મળિયું જન્નતમાં છે અને તેની ડાળીઓ દુનિયામાં છે. જે સખી-દાતા છે તે આ ડાળીઓ પકડીને એક પછી એક ડાળી ઉપર થઈને છેક જન્નતમાં પહોંચી જશે,પણ કંજૂસ-લોભિયાના ઝાડનું મૂળ દોઝખમાં છે, કંજૂસ તેની એક જ ડાળી પકડીને સીધો દોઝખમાં પહોંચી જશે."હઝરત અબુ હુરેરા રદીઅલ્લાહુ તઆલા અન્હુએ આકાની હદીસની રિવાયત કરી છે કે "માલોદોલતથી કોઈ અમીર નથી બનતો,અમીર તો તે છે જે દિલથી અમીર છે,ગની છે"યાને કે જે રાહે ખુદામાં ખર્ચ કરે છે તે ખરો ગનીછે, તે જ ખરો અમીર છે.
આકા ﷺ ફરમાવે છે કે "ખરા અર્થમાં નફો
દેવાવાળો ધંધો-તિજારત તો સદકા- સખાવતમાં છે. જે ખુદાની રાહમાં આપેલું છે એ ફોગટ જતું નથી, પણ ફાયદો જ ફાયદો આપે છે."હઝરત અનસ બિન માલિકથી રિવાયત છે કે અલ્લાહના રસુલ ﷺ ફરમાવ્યું છે કે "સદકો 70(સિત્તેર)બલા-મુશ્કેલીને દૂર કરે છે. એમાં સૌથી નાની-હલકી મુશ્કેલી તે કોઢ-સફેદકોઢ છે." આપણે અતિવરસાદ, વાવાઝોડું,ભયંકર દુષ્કાળ અને કોરોના જેવી બીમારી યા અન્ય આફત-બલાઓ આવે પછી સદકો કરીએ છીએ. ખરા અર્થમાં સદકો તો સાવ સાજા-સારા, કોઈ તકલીફ-મુશ્કેલી વિનાના હોઈએ ત્યારે જ કરવો જોઈએ.જેથી કરીને આપણે કરેલો સદકો એ આપણી ભવિષ્યમાં આવનારી બલા-વબા-આફત અને આપણી વચ્ચે ઢાલરૂપ બની જાય. રેઈનકોટ પહેર્યો હોય તો વરસાદ નડે ખરો? આવું આપત્તિ ટાળવાનું કામ આપણા માટે સદકો કરે છે.
આપણે ત્યાં કેટલીકવાર એક ગેરસમજ એ પણ જોવા મળે છે કે સદકો આપણે ખવાય નહીં, તે તો ફકિરોને જ અપાય. હા,એ પ્રકારનો સદકો હોય તો ચોક્કસ આપણે એમ જ કરવું જોઈએ અને એમ જ કરાય.એમ કરવામાં જ આપણું હિત. હુઝુર ﷺની એક હદીસ એવી પણ છે કે
નેકી-સવાબના ઈરાદાથી કરેલું કોઈ પણ કામ એ સદકો જ છે. આ વાત આપણે ક્યારેય ભૂલવા જેવી નથી. હઝરત અબ્દુરરેહમાન ઈબ્ને ઔફથી એક રિવાયત છે કે આકા ﷺ ફરમાવે છે કે સદકો આપવાથી માલ ઘટતો નથી, એટલું જ નહીં તેનું વળતર-બદલો અલ્લાહ દસથી સાતસો ગણો આપવા બંધાયેલો છે.
કુટુંબ-પાડોશી,ગામ- સમાજના જરૂરિયાતમંદોની સાથોસાથ સમાજનીવાડી-રસ્તા, મસ્જિદ-મદરેસા-હોસ્પિટલ વગેરે જગ્યાઓએ પણ ઈમદાદ, ઝકાત,સદકા વગેરે નિયમ મુજબ જે આપી શકાતું હોય તે જાણકાર આલિમોની સલાહથી આપણે આપીએ જ છીએ એમાં કોઈ જ શક નથી.
રમઝાનમાં માત્ર ખાણી-પીણીના સદકા કરતા, જો કાયમી-ટકાઉ કામોમાં રકમ આપીએ તો સવાબે ઝારિયા જેવા કામોમાં જિંદગીભર સવાબ મળતો રહે તેવું બને. એકવાર હઝરત ઈસા અલૈહિસ્સલામે ઈબ્લીશ-શેતાનને પૂછયું કે તારો સૌથી પ્રિય દોસ્ત કોણ છે? તે મલઉને કહ્યું કે કંજૂસ મુસલમાન.આપે કહ્યું કે એ કેવી રીતે? શેતાન કહે કંજૂસ મુસલમાન એટલા માટે કે અલ્લાહની બાર ગાહમાં તેની કોઈ જ બંદગી-ઈબાદત કબૂલ થતી નથી.આપે ફરી પૂછ્યું કે
લોકોમાં તારો સૌથી મોટો દુશ્મન કોણ છે? શેતાને કહ્યું કે નાફરમાન સખી. સખીની સખાવત જોઈને અલ્લાહના દરબારમાં તેના તમામ ગુનાહ માફ ફરમાવી દેવામાં આવે છે.
વળી આ બધા કામોમાં તો આપણે આવતા વર્ષે પણ રકમ આપી શકીશું.જીવતાંને રમઝાન તો ઈંશાઅલ્લાહ આવતાં વર્ષે પણ આવશે,પરંતુ મોમીનસમાજની લેડિઝ હોસ્ટેલ માટે દાન-ફાળો લેનાર કદાચ આવતાં વર્ષે કોઈ નહીં આવે. માટે થોડા ખેંચાઈને પણ આપીએ.આપણા ટાર્ગેટને વેળાસર પૂરું કરીએ.આ કામ આપણા માટે દુનિયા અને આખેરતની ભલાઈનું હાથવગું અને વિશ્વાસપાત્ર સરનામું છે.
આમ તો આપણી ભાગ્યશાળી દીકરીઓની હોસ્ટેલના દાનની જોળી તો આપણે છલકાવી જ દીધી છે,તેમ છતાં ગામ- સમાજના કોઈ ખૂણે ખાંચરે કોઈ આપણો દીનીભાઈ માત્ર આ વર્ષે જ મળનારા આ લાભથી મહેરૂમ-વંચિત ન રહી જાય એ મારી જેમ જ,આ લેખ વાંચનારા આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. બેશક અલ્લાહ મોટો છે, માહે રમઝાન એની તીવ્ર ગતિથી આગળ ચાલી રહ્યો છે ત્યારે બાકી રહેલા મિત્રોના નામની નોંધણી અને રકમની ઉઘરાણીમાં આંગળી
ચીંધ્યાનું પુણ્ય-સવાબ મેળવીએ.ક્યાંક આપણી આ નાનકડી નેકી રોઝેક્યામતના દિવસે બક્ષિસનું સબળ કારણ પણ બને.જુઓ એક આ માર્મિક કિસ્સો.હઝરત જુનૈદ બગદાદી રહેમતુલ્લાહ અલૈહેના મૃત્યુ પછી એમના સમકાલીન કોઈએ સપનામાં જોયા અને પૂછયું કે "અલ્લાહ પાકે આપની જોડે કેવો વ્યવહાર કર્યો? આપે ફરમાવ્યું કે હું ખુશ છું ખુદાએ મને બક્ષી દીધો છે.મારા રોઝા,હજ,ઝકાત,કુરબાની,તસબીહ વગેરેની તુલનામાં અલ્લાહને મારી તહજ્જુદની નમાઝ એટલી પસંદ પડી કે જેના વસીલાથી મને બચાવી લીધો છે".કહેવાતો આ નાનો પ્રસંગ આપણને મોટો બોધ આપે છે.
અલ્લાહ તો અલ્લાહ છે,એની કોઈ વ્યાખ્યા જ નથી.એ તો અવ્યાખ્યાયિત છે.એ તો આપણને બક્ષી દેવા માટે જ ઉત્સુક-મહેરબાન છે. મનુષ્યની કઈ નેકી કોને-ક્યારે-કેવી રીતે બચાવી શકે એ તો ફક્ત અને ફક્ત એ ગફુરેરહીમ જ જાણે છે,જે સારી કાયેનાતનો સર્જક અને પાલક પણ પોતે જ છે. આ લેખ કોઈની હિદાયત માટે નહીં,પણ મારા જેવા સામાન્ય માસ્તરના મનોમંથન માટે લખાયેલો લેખ છે. આપણે સૌ અરસપરસ માટે દુઆગો બનીએ કે
અલ્લાહ એમના હબીબ ﷺ ના સદકા અને વસીલાથી,બુઝુર્ગોની દુઆથી હરહંમેશ નેક કામો માટે આપણને આગળ રાખે.
આમીન.
ખાસનોંધ: રિવાયતો-હદીસોના હવાલા માટે જુઓ: કયા આપ જાનતે હૈં? પૃ.366થી376
પૃ.384થી394
લેખક: સૈયદ હસનૈનમિયાં બરકાતી.
ડૉ. હાજીભાઈ બાદી.
અનુક્રમણિકા પર પાછા જાઓ

ઈસ્લામ અને આરોગ્ય :2

જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

જાડાપણું (Obesity)એ એક એવી સ્થિતિ છે કે જેમાં શરીરમાં જરૂરી કરતાં વધારે ફેટ જમા થાય છે અને તે આરોગ્યને માટે જોખમી બને છે.
સામાન્ય રીતે BMI (બોડી માસ ઈન્ડેક્સ) દ્વારા જાડાપણું માપવામાં આવે છે.
18.5 - 24.9 સામાન્ય વજન
25.0 - 29.9 વધારે વજન
30.0 કે તેથી વધુ જાડાપણું.
જાડાપણું એ માત્ર શરીરના સુડોળ આકારને બેડોળ બનાવી શારીરિકરીતે વિકૃત દેખાવની જ સમસ્યા નથી, પણ તે શરીરના અંદરના વિવિધ અંગોને અસર કરે છે અને લાંબા ગાળે ગંભીર રોગોનું કારણ બને છે. શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક એમ ચતુર્વિધ પ્રકારે જાડાપણું અનેક સમસ્યાઓ સર્જે છે.
દુનિયાભરમાં ભારે શરીરવાળા (Obesity)માણસોનું પ્રમાણ વધતા દરે વધી રહ્યું છે તે વિશ્વ આરોગ્યની ભયાનક સમસ્યા રૂપ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (who)ના ઈ.સ.2022ના આંકડા અનુસાર વૈશ્વિક સ્તરે 18 વર્ષથી વધુ ઉંમરના લગભગ 16% પુખ્ત વ્યક્તિઓ એટલે કે દર
આઠમાંથી એક વ્યક્તિ ઓબેસિટી બીએમઆઈ 30 ધરાવે છે.
આનો અર્થ એ થયો કે ઈ.સ.2022માં અંદાજિત 89 કરોડ પુખ્ત લોકો મોટાપાની સ્થિતિમાં હતા. ઈ.સ.1990 થી 2022 સુધીમાં વૈશ્વિક જાડાઓનું પ્રમાણ બમણાથી પણ વધુ થઈ ગયું છે.જો માણસજાત સુધરશે નહીં તો ઈ.સ. 2030 સુધીમાં જાડાપણું ધરાવતા લોકોની સંખ્યા 1.1 થી 1.5 અબજ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે.
જાતિ પ્રમાણે મેદસ્વિતાનું પ્રમાણ આ પ્રમાણે છે.
પુરુષો 14.00 ટકા
સ્ત્રીઓ 18.50 ટકા
બાળકો 20.00 ટકા.
એક વિચારશીલ વ્યક્તિ તરીકે આપણને એવો પ્રશ્ન સતાવે કે વિશ્વમાં શા માટે જાડાપણું આવી તીવ્ર ગતિએ વધી રહ્યું છે?
જેના સ્પષ્ટ કારણો અને તારણો આ પ્રમાણે જાણકારોએ સૂચવ્યાં છે.
1. ખોરાકની આદતો:
જંકફૂડ, પ્રોસેસ્ડફૂડ વધુ ખાંડવાળા પીણા.
2. શરીર શ્રમમાં ઘટાડો:
સુખ-વૈભવ-વિલાસવાળું જીવન તેમજ શરીરશ્રમનો અભાવ.
3. ટેકનોલોજીની અધિકતા:
સ્ક્રીનટાઈમ વધ્યો, નવી-નવી ટેકનોલોજીને કારણે મહેનતના કામો ઘટયા.
વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના અંદાજ
મુજબ જો માણસજાત પોતાના આ વિકરાળ વર્તમાનમાંથી મક્કમતા સાથે છૂટવા પ્રયત્ન નહીં કરે તો અને આ જ ગતિએ જાડાપણું ચાલુ રહેશે તો ઈ.સ.2035 સુધીમાં દુનિયાની 50 ટકા વસ્તી મેદસ્વિતાથી પીડાતી જોવા મળશે. મેદસ્વિતા એક મીઠું ઝેર છે. લોકો જાણે છે છતાં પોતાની મજબૂરીઓ છોડી શકતા નથી.
એક સુંદર ઈસ્લામિક કિસ્સો આપણી આ આખી વાતને ઈસ્લામિકવિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવા માટે પૂરતો સાબિત થશે.
બગદાદના મહાન ખલિફા હારૂન રસીદના દરબારમાં એક ખ્રિસ્તી ડોક્ટર હતો.એને પોતાના ડોક્ટરીવિદ્યાના જ્ઞાનનું બહુ મોટું અભિમાન હતું.
એક દિવસ ખલિફાના ભર્યાભાદર્યા દરબારમાં તેણે જલીલુલકદ્ર આલિમ અલી બિન હુસેન બિન વાકિદને પડકાર ફેંકતો એક સવાલ કર્યો કે તમારા કુરાનમાં ક્યાંયે, કોઈ ઠેકાણે ડોક્ટરીવિદ્યા યાને કે વૈદક શાસ્ત્ર-તબીબીવિજ્ઞાન બાબતનો કોઈ ઉલ્લેખ કે માર્ગદર્શન છે ખરાં?
આ સાંભળી આલિમ અલી બિન હુસેને જણાવ્યું કે તમને અમારા પવિત્ર કુરાન વિશે કોઈ જ જાતની ગતાગમ કે સમજણ હોય એમ લાગતું
નથી.અલ્લાહ તઆલાએ તો કુરાનમાં માત્ર અડધી આયતમાં જ આખા તબીબીશાસ્ત્રની વાત સંપૂર્ણપણે માનવજાતને આપી દીધી છે.આટલું બોલી તેઓ બોલ્યા:
كُلُوْا وَ اشْرَبُوْا وَ لَا تُسْرِفُوْا ۚ-اِنَّهٗ لَا یُحِبُّ الْمُسْرِفِیْنَ۠ (07:31)
અર્થ:ખાઓ,પીઓ અને હદથી વધારે આગળ ના વધો.
સુરા:અલ-આરાફ
આ સાંભળી પેલા ખ્રિસ્તી ડોક્ટરે પૂછ્યું કે શું આરોગ્યની બાબતમાં ઈસ્લામના મહાન પયગંબરે આ સિવાયની બીજી કોઈ વાત કરી છે ખરી?
હઝરત અલી બિન હુસેને જવાબમાં માત્ર એક જ હદીસ રજૂ કરી."ઈન્સાનનું પેટ તમામ રોગોનું ઘર છે,પરહેજ તમામ દવાઓનો સરદાર છે, દરેક શરીર થકી એવું અને એટલું જ કામ લો કે જેને માટે તે ટેવાયેલું હોય છે."
ડોક્ટર બોલ્યો: અરે વાહ વાહ!! તમારી મહાન કિતાબ કુરાન અને તમારા મહાન નબીએ હકીમ (જાલીનુસ)માટે કોઈ જ દવા બાકી રહેવા દીધી નથી અર્થાત આરોગ્યનું સંપૂર્ણ માર્ગદર્શન તેઓએ ઉપરના ટૂંકા-ટૂંકા વાક્યોમાં આપી દીધું છે.
(હવાલો: રૂહુલબયાન,
જી-3,પેજ-155)
તયબાહ:તા.01-12-1990.
આ અંગે હુઝુરની બે હદીસો પણ આરોગ્યની આકાંક્ષા ધરાવનારાઓ માટે ઘોર અંધારામાં દીવાબત્તી સમાન છે.
1."તમારા પેટ અને પીઠને હલકા રાખો,જેથી તમે ચુસ્તી-ચોકસાઈ સાથે નમાજમાં ઊભા રહી શકો."
(હવાલો:જામે સગીર જી-2,પેજ-4)

2."તમારા સૌમાં મને સૌથી વધારે પ્યારો તે માણસ લાગે છે કે જે ઓછું ખાતો હોય અને ઓછા વજનવાળો-પાતળો હોય."
(હવાલો:જામે સગીર જી-2 પેજ-10)
તયબાહ: જુલાઈ-ઓગસ્ટ 1993 પૃષ્ઠ 44.
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસથી રિવાયત છે કે"કુરાનમાં માનવ જાતને ઉપયોગી તમામ વિદ્યાઓ મોજૂદ છે.એ વાત જુદી છે કે તેને સમજવા માટે માણસની બુદ્ધિ અશક્ત અને અપૂરતી છે."
એક મુસ્લિમ તરીકે આનો ખરો ઉકેલ ઈસ્લામે આપણને 14-15 સદી પહેલાં આ મુજબ બતાવ્યો છે.
1400 વર્ષ પહેલાં જ ઇસ્લામે આરોગ્ય માટે મૂળભૂત સિદ્ધાંતો આપી દીધા હતા.
✔️ ખાવાની મનાઈ નથી.
✔️ પીવાની મનાઈ નથી
❌ પરંતુ હદ પાર કરવી મનાઈ છે.

મોહંમદ ﷺ એ
ફરમાવ્યું:
“આદમીના પેટ કરતાં ખરાબ વાસણ બીજું કોઈ નથી."
"માણસ માટે થોડા કોળિયા પૂરતા છે."
"જો પેટ ભરવું જ હોય તો — એક તૃતિયાંશ ખોરાક, એક તૃતિયાંશ પાણી અને એક તૃતિયાંશ હવા માટે રાખો.”
આ આજના ન્યુટ્રિશન નિષ્ણાતો જે “portion control” કહે છે — એ જ સિદ્ધાંત છે.
ઈસ્લામિક લાઈફસ્ટાઈલ અને આરોગ્ય.
1. નમાઝ -દૈનિક કસરત.
દિવસમાં પાંચ વખતની નમાઝ મારફતે શરીરના વિવિધ અંગોનું નિયમિત હલનચલન-કસરત થાય છે.
2. રોઝા-ડિટોક્સ અને સ્વનિયંત્રણ.
રમઝાનના રોજા ફક્ત આધ્યાત્મિક જ નહીં, પણ ખાવા-પીવાની આદતોમાં સંયમ લાવે છે.
3. સાદગીપૂર્ણ જીવન.
ઈસ્લામ ફુઝૂલખર્ચ અને અતિભોજનથી રોકે છે.
આરોગ્યના આંકડા અને ઈસ્લામનો સંદેશ
આજે વિશ્વમાં વધતો મોટાપો બતાવે છે કે અતિશયતા ન કરો ના સિદ્ધાંતથી દૂર થયા છે.
ઈસ્લામમાં આરોગ્ય માત્ર દવા નથી તે જીવનશૈલી(Life style)છે
👉 સંતુલિત આહાર.
👉 નિયમિત ઈબાદત.
👉 સ્વનિયંત્રણ.
👉 શરીર અને આત્માનું સંતુલન.

જો આ ચાર
બાબતો સમજણ સાથે અપનાવીએ તો આધ્યાત્મિકતા સાથે શારીરિક તંદુરસ્તી પણ પ્રાપ્ત થાય જ.
ઉપસંહાર
ઈસ્લામ માનવજાતના સુંદર આરોગ્યને અલ્લાહની એક નેઅમત, એક અમાનત તરીકે સ્વીકારે છે.
ઈસ્લામ ઈન્સાનને તમામ પ્રકારની અત્યંતિકતાઓથી દૂર રહી મધ્યમમાર્ગ (વસ્તિય્યત)નો સ્વીકાર સૂચવે છે. જેમ કે ન અતિ રોઝા, ન અતિભોજન, ન અતિ આરામ,ન અતિ પરિશ્રમ. આ સર્વે બાબતોમાં સંતુલન સાધવું એ જ સાચી તંદુરસ્તી.
શરીરની તંદુરસ્તી માટે વાજબી કાળજી કરવી એને પણ ઈસ્લામે ઈબાદત ગણી છે. એનું કારણ એ છે કે ઈસ્લામ એ કેવળ ઈબાદત માટેનો રસ્તો નથી, પણ એક સંપૂર્ણ અને સર્વાંગીણ જીવનપદ્ધતિ છે, જે શરીર, મન અને આત્મા(રૂહ)ની, એમ ત્રણેય પ્રકારે ઊભી થતી તંદુરસ્તી ઉપર સમાન રીતે ભાર મૂકે છે. શરીર અલ્લાહની અમાનત છે અને તેની સારી સંભાળ રાખવી એ એક મહત્વની ઈબાદત છે. આકા ﷺ એ ફરમાવ્યું છે કે "તમારા શરીરનો હક અદા કરો." (બુખારીશરીફ)
વાંચનારા અને
વિચારનારા આપણને સૌને અમલ માટેની નેક તૌફિક અલ્લાહ પાક અતા
કરે એવી દુઆ સાથે
ડો.હાજીભાઈ બાદી.
મો:9426930381
અનુક્રમણિકા પર પાછા જાઓ

કડવી-તીખી,પણ વિચારવા જેવી વાત.

રમઝાનમાં સખાવત કરનારાઓ સાવધાની રાખે !
બહારના મસ્જીદ - મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો
ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો?
વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ ઇમદાદ રમઝાનમાં આપી દે છે. કોઈ કોઈ ભિખારી તો એકાદ લાખ કમાઈને જાય છે
વાંકાનેર તાલુકામાં જ બંધાતી મસ્જીદો અને મદ્રેસાઓમાં ફાળો આપવાનું નકકી કરો તો જ  આવા તત્વોનાં આગમન પર લગામ લાગશે. હેવાયા થયેલા આ લોકોને ભુલાવવા જરૂરી છે

ઈસ્લામમાં ખયરાતનું ખાસ મહત્વ છે. જરૂરિયાતમંદ ફકીરોને અપાતી ઈમદાદના અઝર જરૂર મળતો હોય છે, પરંતુ આ ઇમદાદ યોગ્ય જરૂરિયાતમંદને અપાય એ પણ એટલું જ જરૂરી છે. રમઝાન માસમાં વાંકાનેર તાલુકામાં ચંદો એકઠા કરનારા અને માંગનારાની ટોળીની ટોળી ઉતરી પડે છે, જેમાં ગુજરાત બહારથી આવનારાઓ પણ હોય છે. રાજસ્થાન, યુ.પી., મધ્ય પ્રદેશ, તામીલનાડુ અને ઠેઠ કાશ્મીર સુધી વાંકાનેર તાલુકાની એવી
કુખ્યાતી ફેલાઈ ગઈ છે કે અહીંના મોમીનોને આસાનીથી મૂર્ખ બનાવી શકાય છે, એ વિસ્તારમાંથી પણ મસ્જિદ અને મદ્રેસાના નામે ફાળો ઉઘરાવવા અહીં આવે છે. મકાન, મસ્જીદ કે મદ્રેસાના ફાળા ફોટાઓ- એસ્ટીમેન્ટ સાથે રાખી, માનસિક રીતે અસર ઉભી કરવા એકને બદલે બે-ત્રણ જણા સાથે મળીને ચંદો કરતા હોય છે. 
ચંદાની અપાતી ઘણી પહોંચમાં ટ્રસ્ટ નંબર કે બેન્ક ખાતાની કોઇ વિગત હોતી હોતી નથી કે સંપર્ક નંબર પણ હોતા નથી. ગુજરાતીને બદલે તેમની સ્થાનિક ભાષા તેલગુ અથવા ઉર્દુમાં પહોંચ અપાય છે, વાંકાનેર તાલુકામાં ચંદો આપનારા ઘણા આ વાંચી શકતા જ નથી. મસ્જીદ કે મદ્રેસાનું નામ પડતા ઇમદાદની રકમનો આંક ઉંચો રાખવા સામાવાળા આગ્રહ રાખે છે. યાદ રહે- પહોંચ બુક છપાવવી એ કોઈ અઘરી વાત નથી.
મસ્જીદના બાંધકામ માટે ઠેઠ આપણા વાંકાનેર સુધી લાંબા થવાની હકીકત શંકા ઉપજાવનારી છે. ફોટા, એસ્ટીમેન્ટ કે અપાતી પહોંચની સત્યતા ઉપર પણ શંકા ઉપજે છે. ગુજરાત કે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા કે અન્ય વિસ્તારના મુસ્લિમો કંઈ એટલા ગરીબ નથી કે
મસ્જિદ, મદ્રેસાના ફાળા માટે બહાર રખડવું પડે. સ્થાનિક જિલ્લાનાં મુસ્લિમોની મદદથી જ બાંધકામ થઇ શકે તેમ હોય છે. 
ફાળો આપવો સવાબનું કામ છે, પરંતુ મુર્ખ બનવામાં કોઇ સવાબ નથી. આવા લેભાગુ તત્વોને ચંદો આપી ભીખારી વર્ગ ઉભો કરવામાં કોઇ શાણપણ નથી. આ થકી ઇસ્લામની કોઇ ખિદમત કર્યાનો મિથ્યા સંતોષ લેવા જેવો નથી. ઇમદાદ કરો- ખૂબ કરો, પરંતુ ખરાઇ કરો કે તમારી બનાવટ તો નથી થતીને? મસ્જીદ - મદ્રેસાના નામે ખાનગી ખિસ્સા તો નથી ભરાતાને? 
આનાથી બચવા વાંકાનેર તાલુકામાં ચાલતી ધાર્મિક સંસ્થાઓને જ ફાળો આપો. બહારના તત્વોને ફાળો આપી મુર્ખ બનવા કરતા તેટલી રકમનો વાંકાનેર તાલુકામાં ચાલતા મદ્રેસામાં વધુ ફાળો આપો.  બહારના લોકોને તમારે ઈમદાદ કરવી જ હોય તો ‘એકાઉન્ટ પે’ ના ચેકથી ચંદો આપો. ચેક લેવાનો ઇન્કાર અથવા વ્યક્તિગત નામથી ચેક લખવાની તેમની માંગણી સામે ઝુકશો નહીં અને તો ય યાદ રાખજો કે માંગનારા કમિશનીયા હોય છે. તમે આપેલી રકમમાંથી 50 થી 60 ટકા એમનું કમિશન હોય છે. બધા લોકો ખોટા જ હોય છે, એવું
કહેવાનો અમારો ઇરાદો નથી. પરંતુ કહેવાનો આશય એ છે કે તમારી ઇમદાદ લેખે લાગવી જોઇએ. 
આવું જ રમઝાન માસમાં માંગવા આવતા ફકીરોનું છે. તમે ઘણી વાર છાપામાં વાંચ્યું હશે કે ભિખારી પાસેથી લાખો રૂપિયા નિકળ્યા, પગ કપાયેલો ન હોવા છતાં પાંયચો પહોળો રાખી પગ વાળીને લંગડો હોવાનો ઢોંગ કરતો ફકીરનો વિડિઓ પણ તમે જોયો હશે, જોયું હશે કે મુસ્લિમના મુબારક દિવસે ફકીરો દરગાહથી બહાર ચલમ પી રહ્યા છે. ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો?  
હકીકતમાં એ લોકો માંગવાને હકદાર જ નથી હોતા. તપાસ કરશો તો ખબર પડશે કે તમારા કરતા વધુ સારી એશોઆરામની ઝીંદગી ઘરે જીવતા હોય છે. રોઝા- નમાઝનો એમને સ્નાન- સૂતકનો પણ સંબંધ નથી હોતો. સાચા ફકીરને મદદ કરી દુઆ મેળવો, પણ આવા કામચોરોને જાકારો આપો. કામચોરોને ભીખ આપવામાં કોઇ સવાબ નથી, બલ્કે તમે તંદુરસ્તને આપીને ગુનાહમાં ભરાવ છો. તમારી ભીખમાં અપાતી રકમ દારૂ પીવામાં કે ઐયાશી કરવામાં ખર્ચાતી નથીને? તેની ખાત્રી કરો.
આવા લોકોને ખયરાત આપવાનો ઇન્કાર કરતા શીખો. સમૂહમાં રીક્ષા ભાડે કરી ગામે ગામ રખડતા અને રાત્રે નાલા- બસ સ્ટેન્ડે રહેતા આ લોકો પરહેઝગાર હોય છે ખરા? 
વાંકાનેર તાલુકામાં ૧૫,૦૦૦ ઘર લગભગ મોમીનોના વસે છે. ઘર દીઠ બીતા બીતા લખીએ તો પણ બે હજારેક રૂપિયાની ખયરાત અલ્લાહના નામે કરવામાં આવે છે. આ હિસાબે વાંકાનેર તાલુકાના મોમીનો બહારના આવા તત્વોને દોઢેક કરોડથી વધુ ઇમદાદ રમઝાનમાં આપી દે છે. કોઈ કોઈ ભિખારી તો એકાદ લાખ કમાઈને જાય છે. અમારા ધ્યાનમાં એવી હકીકત આવી છે કે રમઝાનમાં ગૈર-કોમની સ્ત્રીઓ ઇસ્લામી લિંબાશ પહેરી માંગવા નિકળી પડે છે. ઇમદાદ મેળવવા રાખેલી દાઢી રમઝાન પછી પુરૂષો કાઢી નાખતા હોય છે- લીલા ઝભ્ભા ફેંકી દે છે. એ લોકોને કુરઆનશરીફની એક સૂરત પણ આવડતી હોતી નથી. ખરાઈ કરજો.
ભિખારી વટથી માંગતા હોય છે. નરમાશ એના અવાજમાં હોતી નથી, કેટલાક તો ‘આટલા આપો તો જ લઈએ’ એવો આગ્રહ રાખતા હોય છે. જો ન આપો અથવા ઓછું આપો તો બદદુવા કરતા પણ અચકાતા નથી. એમાંય આપણા વિસ્તારમાં પુરુષ વર્ગ મોટા ભાગે
ઘરે હોતો નથી, બહેન, દીકરીઓ કે મોટી ઉંમરના અમ્મા ઘરે હોય છે. અલ્લાહનો વાસ્તો આપીને હટ્ટા-કટ્ટાથી પનારો છોડાવવા ભીખ આપવી પડતી હોય છે.
વાંકાનેર તાલુકામાં જ બંધાતી મસ્જીદો અને મદ્રેસાઓમાં ફાળો આપવાનું નકકી કરો તો જ આ બદીથી બચી શકાશે. તત્વોનાં આગમન પર લગામ લાગશે. એકલ-દોકલથી આ નહિં બને. વાંકાનેર તાલુકાના તમામ મોમીનભાઇઓ નકકી કરે તો જ આ બદીથી બચી શકાશે. હેવાયા થયેલા આ લોકોને જો નહીં ભુલાવો તો એક દિવસ એવો આવશે કે રમઝાનમાં આવા લોકોને ગામમાં આવતા અટકાવવા છોકરાઓની ટીમ બનાવવી પડશે, જે ગામમાં ગરતા રોકે. પાણી માથા સુધી આવે તે પહેલા જાગો. માંગનારાને આપશો તો એની ઔલાદ પણ માંગણ જ બનશે- એને માંંગણ જ બનાવી રાખવાનું પાપ તો તમે નથી કરતા ને ? એના કરતા મદ્રેસામાં આપો કે આવનારી આપણી પેઢી ઇસ્લામના અરકાન શીખે, નેક પરહેઝગાર બને.  
આટલું જાણ્યા પછી તમારું દિલ જો માનતું હોય તો બેશક આપશો. ઇસ્લામમાં ઝકાત, ફીતરા, ખૈરાત, સદકાના મળતા સવાબથી ઇન્કાર નથી . અમારી વાત યોગ્ય લગતી હોય તો આ લેખ સમાજમાં
ઘરેઘરે શેર કરજો. પરવરદિગાર મને, તમને અને સૌને નેક હિદાયત આપે ! (આમીન)
આલેખન: નઝરૂદીન બાદી.
તંત્રીશ્રી "કમલસુવાસ" સાપ્તાહિક
તા. વાંકાનેર, જિ.મોરબી.
અનુક્રમણિકા પર પાછા જાઓ

રમઝાનનો મહત્વનો શેર.

બે ઝબાન કો જબ વો ઝબાન દેતા હૈ,
પઢને કો ફિર વો કુરઆન દેતા હૈ;
બખ્શને પર આયે ઉમ્મતકે ગુનાહોં કો,
તોહફે મેં ગુન્હગારોં કો રમઝાન દેતા હૈ
અનુક્રમણિકા પર પાછા જાઓ