સફરેઈસ્લામ(safareislam)-04
image
માનદતંત્રીઃ ડૉ.હાજીભાઈ બાદી
સહાયકતંત્રીઃ હિદાયત પરમાર


સંપાદકમંડળ:
૧. મૌ.નઝમુદીન કડીવાર
૨. અબ્દુલકૈયુમ વહોરા
૩. મૌ.ગુલામયાસીન અશરફી
૪. રેશ્માબહેન જત


ટેક્નિકલ સહયોગ:
૧. શાહિદ પટેલ
ર. મકબૂલ માથકિયા
એહલે સુન્નત વ જમાઅતનું ઈ-મેગેઝીન

સફરેઈસ્લામ (માસિક)
(ઈસ્લામિક ગુજરાતી ડાયજેસ્ટ ડિસેમ્બર ૨૦૨૫ માહેઃ જમાદિઉલ આખિર
હિજરી સન: ૧૪૪૭
વર્ષ: ૦૧, અંક: ૦૪, સળંગઅંક: ૦૪
લવાજમ: ખિદમતેઈસ્લામ

સ્થાપક અને પ્રકાશક


સફરેઈસ્લામ ગૃપ

એડ્રેસઃ સફરેઈસ્લામ (માસિક)

મુ.પો.પંચાશિયા, તા.વાંકાનેર,

જિ.મોરબી. પીન: ૩૬૩૬૨૧.

web: www.safareislam.com

Email: info@safareislam.com

સફરે ઈસ્લામ કોના માટે છે?

  • ઉર્દૂ અને અરબી નહીં જાણનારા સામાન્ય ગુજરાતી વાચકો માટે.

  • ધંધા-રોજગાર, ઓફિસ-મુસાફરી વગેરેમાં આપના મોબાઇલમાં વાંચવા સાંભળવા માટે.

  • શાળાઓ અને મદ્રેસાઓમાં ભણતા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ માટે.

હાર્દિક અપીલ

  • દીનેઈસ્લામ સંબંધિત કોઈપણ વ્યકિતને સેવા-સવાબના ભાવસાથે આ સામયિક સફરેઈસ્લામના ધારાધોરણ મુજબ શુદ્ધ ગુજરાતીભાષામાં લેખ લખી મોકલવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

  • આ સામયિકના તમામ લેખો શરઈ ચોકસાઈપૂર્વક પ્રગટ થાય છે, છતાં કોઇનાએ ધ્યાનમાં કોઈ ભૂલચૂક જણાયતો બિનચૂક અમારું ધ્યાન દોરશોજી.

  • સામયિક સંબંધી તમામ કામો માટેનું સંપર્ક સૂત્રઃ ૯૪૨૬૯૩૦૩૮૧.

ઈસ્લામના પહેલા ખલિફા

હઝરત અબુબક્ર સિદ્ધિકે અકબર
((રદિયલ્લાહો તઆલા અન્હો))

(સંપાદક : (મરહુમ) હાજી અબ્દુલ ગફફાર ચોલા સાહેબ, મુ. જામનગર)

સવાલ : હઝરત સિદ્દિકે અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)નો જન્મ કઈ ઈસ્વીસનમાં અને ક્યાં સ્થળે થયો હતો?
જવાબ : ઈ.સ. ૫૭૨માં અને મક્કા શરીફમાં તેમનો જન્મ થયો હતો.
સવાલ : હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)ની પયદાઈશ પછી કેટલા વર્ષો બાદ હઝરત સિદ્દિકે અકબર પયદા થયા હતા ?
જવાબ : લગભગ બે વર્ષ પછી તેમનો જન્મ થયો હતો.
સવાલ : હઝરત સિદ્દિકે અકબરનો જન્મ હિજરી સન શરૂ થઈ, તેના કેટલા વર્ષ પહેલાં થયો હતો ?
જવાબ : પચાસ વર્ષ અને છ મહિના પહેલાં થયો હતો.
સવાલ : 'હાથીવાળાઓનો હુમલો' મક્કા પર થયો હતો, જેની તફસીતર કુરઆને પાકની ‘સૂરહ અલમતરા કયફા'માં છે એ બનાવના કેટલા સમય પછી હઝરત સિદ્દિકે અકબરનો જન્મ થયો હતો ?
જવાબ : અઢી વર્ષ પછી થયો હતો.
સવાલ : હઝરત સિદ્દિકે અકબર હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)થી કેટલા વર્ષ નાના હતા?
જવાબ :
લગભગ સવા બે વર્ષ નાના હતા.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબરનો સંબંધ કયા 'કબીલા' સાથે હતો ?
જવાબ : કબીલા તીમ બીન મર્રહ બીન કઅબથી સંબંધ હતો.
સવાલ : ઈસ્લામનો સ્વીકાર કર્યો એ પહેલાં હઝરત સિદ્દિકે-અકબરનું શું નામ હતું ?
જવાબ : અબ્દુલકઅબહ નામ હતું.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબરે કેટલા વર્ષની ઉંમરે ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો ?
જવાબ : તેમની ૩૭ વર્ષની ઉંમર થઈ, ત્યારે ઈસ્લામ સ્વીકાર કર્યો હતો.
સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિકે-અકબરે કયા દિવસે ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો ?
જવાબ : સોમવારના દિવસે કર્યો હતો.
સવાલ : કયા ઈસ્વીસનમાં હઝરત સિદ્દિકે અકબરે ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો ?
જવાબ : ઈ.સ. ૬૧૦માં કર્યો હતો.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર કઈ વસ્તુનો વેપાર કરતા હતા ?
જવાબ : કપડાનો વેપાર કરતા હતા.
સવાલ : જે દિવસે હઝરત સિદ્દિકે અકબરે ઈસ્લામનો સ્વીકાર કર્યો ત્યારે તેમની પાસે કેટલી ‘મુડી' હતી ?
જવાબ : ચાળીશ હજાર 'દિરહમ'ની રોકડ રકમ તેમની પાસે હતી.
સવાલ : હુઝૂરે
અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)નો સૌથી પહેલો નિકાહ ઉમ્મુલ મુઅમેનીન હઝરતે ખદીજતુલ કુબ્રા (રદિયલ્લાહો તઆલા અન્હા) સાથે થયો હતો એ ‘નિકાહ'માં હઝરત સિદ્દિકે-અકબર શામેલ થયા હતા કે નહિ ?
જવાબ :હા, શામેલ થયા હતા.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબરનો 'લકબ' શું હતો ?
જવાબ : 'અતીક' લકબ હતો. અતીકનો અર્થ સુંદર થાય છે.
સવાલ : 'અતીક' લકબ શા ઉપરથી મળ્યો ?
જવાબ : તે પોતે ખૂબસૂરત હોવાનો કારણે એવો લકબ મળ્યો.
સવાલ.: ઇસ્લામના સમયમાં સૌથી પહેલાં કોને 'અતીક' લકબ મળ્યો હતો ?
જવાબ: હઝરત સિદ્દિકે-અકબર સિવાય બીજો કોઈને એ લકબ મળ્યો નથી.
સવાલ : બારગાહે-ખુદાવંદીથી હઝરત સિદ્દિકે-અકબરને બે 'ખિતાબ' મળ્યા હતા. એ 'ખિતાબ' કયા છે ?
જવાબ : 'સાનીઉસ્નૈન' અને 'સાહિબુર્રસૂલ'.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબરના વાલીદ (પિતા)નું નામ 'અબુકહાફહ' છે. તેમની 'કુન્નીયત’ (અટક) શું હતી?
જવાબ : 'ઉસ્માન' અટક હતી.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબરે પહેલી વ્યાપારી-સફર કરી ત્યારે તેમની ઉંમર કેટલી હતી ?
જવાબ : અઢાર
વર્ષની ઉંમરે પહેલી સફર કરી હતી.
સવાલ : હઝરત અબૂબક્રને (રદિયલ્લાહો તઆલા અન્હો) 'સિદ્દિકે અકબર'નો ખિતાબ કયારથી મળ્યો?
જવાબ : હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ) ‘મેઅરાજ' પર ગયા હતા. એ અકલ્પિત બનાવ સંબંધે તેમને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે; 'અગર મારા આકા (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ) કહે છે, તેથી હવે તેમાં શંકાને સ્થાન કયાં રહે છે ?
સવાલ : હઝરત અબુબક્ર સિદ્દિકે-અકબરનો એક લકબ ‘અતીક' હતો તેનું શું કારણ છે ?
જવાબ : હઝરતે આઈશહ સિદિકહ (રદિયલ્લાહો તઆલા અન્હા)નું કથન છે કે, 'હું એક સમયે અલ્લાહના મુકદૃસ નબીના મુકદૃસ ઘરના આંગણામાં બેઠી હતી. દરવાજા પર પડદો રાખેલો હતો. અમારી પાસે હુઝૂરે અકદસ કેટલાક 'સહાબા' સાથે બેઠા હતા, તેવામાં મારા ‘વાલીદ' (હઝરત અબૂબક્ર સિદ્દિક) પધાર્યા. તેમને જોઈને હુઝૂરે અકરમે (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ) ‘સહાબા'ને ઉદ્દેશીને ફરમાવ્યું કે; ‘જે કોઈ જહન્નમથી વિમુખ અને 'આઝાદ ઈન્સાન'ને જોવા ઈચ્છતો હોય, એ (હઝરત અબૂબક્ર)ને
જોઈ લે ('વહી'ની પરિભાષામાં 'અતીક મીનન્નાર' તેમને ફરમાવવામાં આવ્યું) એટલે 'અતીક' લકબ મશહૂર થઈ ગયો.
સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિકની 'વાલેદા'નું નામ શું હતું?
જવાબ : સલ્મહ બિન્તે સખ્ખર બીન અમીર બીન કઅબ હતું. તેમની ‘કુન્નીયત’ ‘ઉમ્મુલખૈર' છે. તે હઝરત અબૂબક્ર સિદ્દિકના કાકાના પુત્રી હતા.
સવાલ : 'જહાલત'ના સમયમાં અરબના વિસ્તારના લોકોનું ‘પ્રિય પીણું' શરાબ કહેવાય છે, તેનો ઉપયોગ હઝરત અબૂબક્ર સિદ્દિક એ સમયમાં કરતા હતા કે નહિ ?
જવાબ : 'જહાલત'ના સમયમાં અને ત્યારપછી કેટલાક સમય બાદ શરાબને 'હરામ' જાહેર કરવામાં આવ્યો હતો. અરબના લોકો તેને ખૂબ જ લિજ્જતથી પીતા હતા, એવા સમયે પણ અબૂબક્ર સિદ્દિકે શરાબને સ્પર્શ કર્યો ન હતો. તેમનું કહેવું હતું કે, શરાબ પીવાવાળાની આંખમાં શરમ જેવી વસ્તુ રહેતી નથી, હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)ને આની જાણ થતાં, આપે ફરમાવ્યું
કે; 'એ તદ્દન સત્ય હકીકત છે.’
સવાલ: હઝરત અલી (કર્રમલ્લાહો વજહહુ) ને પૂછવામાં આવ્યું કે; ‘બતાવો, સૌથી બહાદુર
(શૂરવીર) કોણ છે ?' તેનો જવાબ હઝરત અલીએ શું આપ્યો હતો ?
જવાબ : હઝરત અલી (કર્રમલ્લાહો વજહહુ)એ કહ્યું કે; 'હું તો હંમેશા મારા સમોવડિયાથી લડતો રહ્યો છું. સૌથી વધુ શૂરવીર મારા મતે હઝરત અબૂબક્ર સિદ્દિકે અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો) છે. 'બદ્ર’ના જંગ વખતે અમે બધા મળીને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)ને માટે એક 'સાયબાન' (તડકાના રક્ષણ માટે ઝુંપડી) બનાવી હતી, ત્યારે અમે પરસ્પર સલાહ મશ્વરો કર્યો હતો કે, આ 'સાયબાન' પાસે કોણ રહેશે ? તે એટલા માટે કે કોઈ ‘મુશરિક' રસૂલલ્લાહ પર હુમલો ન કરી શકે; એ સમયે અમારામાંથી એક પણ માણસ આગળ આવ્યો નહી. પરંતુ હઝરત અબૂબક્ર સિદ્દિક ખુલ્લી તલ્વાર સાથે આવીને રસૂલલ્લાહની પાસે ઉભા રહી ગયા. ત્યારપછી કોઈ ‘મુશરિક' રસૂલલ્લાહ પર હુમલો કરવાની હિંમત કરી શકયો નહોતો. જ્યારે એવું બને ત્યારે હઝરત અબૂબક્ર સિદ્દિક ખુલ્લી તલ્વાર સાથે તેના પર ટૂટી પડવા તૈયાર હતા, એટલે તેઓ અમારામાં સૌથી વધુ 'શૂરવીર' હતા.
સવાલ : અલ્લાહના આખરી નબી (સલ્લલ્લાહો તઆલા
અલયહે વસલ્લમ) એ જાહેરમાં કોના અહેસાનનું કથન વ્યકત કર્યું છે ?
જવાબ : હુઝૂરે અકરમે (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ) ફરમાવ્યું કે; મેં લગભગ તમામ માનવીઓના અહેસાનનો ભાર ઉતારી દીધો છે. એકમાત્ર (હઝરત) અબૂબક્ર સિદ્દિકનો અહેસાન મારા પર બાકી છે. તેમનો અહેસાન એટલો મોટો છે કે તેનો બદલો' 'કયામત'ના દિવસે અલ્લાહ તઆલા તેમને અતા ફરમાવશે. મને કોઈના માલમાંથી એટલો લાભ પહોંચ્યો નથી, જેટલો લાભ (હઝરત) અબૂબક્ર સિદિકનાં માલથી થયો છે.'
સવાલ : કુરઆને મજીદમાં હઝરત અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો)ની ફઝીલત (શ્રેષ્ઠતા) વિષે કેટલી 'આયતો' 'નાઝિલ' થઈ છે ?
જવાબ :સત્તર આયતો નાઝિલ થઈ છે.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)એ કેટલી 'હદીસો' બયાન કરી છે ?
જવાબ : ૧૪૪ હદીસો બયાન કરી છે.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના, એ ‘સાહેબઝાદા'નું શું નામ છે, જે ‘બદ્ર’ના જંગમાં 'મુશ્રિકો સાથે રહીને મુસલમાનોથી લડી રહ્યા હતા?
જવાબ : તેમનું નામ હઝરત અબ્દુર્રહમાન બિન
અબુબક્ર છે.
સવાલ : એ ઔરતનું શું નામ છે જેણે હઝરત સિદ્દિકે અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'ખિલાફત'માં 'નબુવ્વત'નો દાવો કર્યો હતો ?
જવાબ : તે ઔરતનું નામ સજાઅ હતું. તેનો સંબંધ 'બની તમીમ' કબીલાથી હતો.
સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો)ના બીમારીના દિવસોમાં કોણે તેમના હુકમથી નમાઝ પઢાવી હતી?
જવાબ : હઝરત ઉમર ફારૂકે આઝમે (રદિયલ્લાહો તઆલા અન્હો) નમાઝ પઢવી હતી.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'ખિલાફત'માં કયા કયા 'ભયાનક ફિત્ના'એ માથું ઉચકયું હતું ?
જવાબ : 'નબુવ્વતના જુઠા દાવેદારો' અને 'ઝકાતનો ઇન્કાર' કરનારાઓના મહાભયાનક ફિત્નાઓએ માથું ઉંચકયું. તેને સખ્તીની સાથે તેમણે દબાવી દીધા હતા.
સવાલ : હઝરત સિદ્દિકે અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો) પૂરા અરબ ઈલાકાને કેટલા ભાગોમાં વહેંચી દઈને, દરેક ભાગ ઉપર એક 'અમીર' એક 'ન્યાયાધિશ' (કાઝી) મુકર્રર કર્યો હતો ?
જવાબ : દશ હિસ્સામાં પૂરા ઈલાકાને વહેંચી દેવામાં આવ્યો હતો.
સવાલ : હઝરત સિદિકે-અકબર
(રદિયલ્લાહો તઆલા અન્હો) કેટલા દિવસ તાવની બીમારીમાં પથારીવશ રહ્યા ?
જવાબ : પંદર દિવસ તાવની બીમારીમાં રહ્યા. ત્યાર પછી તેમની 'વફાત' થઈ હતી.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો) કયા દિવસના સંબંધે ફરમાવતા હતા કે મારી 'વફાત' એ દિવસે થશે ?
જવાબ : સોમવારના દિવસ સંબંધે એવું ફરમાવતા હતા.
સવાલ : જે દિવસે હઝરત અબૂબક્ર સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'વફાત’ થઈ, એ જ દિવસે એક બીજા 'સહાબી'ની પણ 'વફાત' થઈ હતી. તેનું શું નામ છે ?
જવાબ : તેમનું નામ હઝરત ઉતાબ બીન ઉસૈદ (રદિયલ્લાહો તઆલા અન્હો) છે.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની ‘વફાત’ થઈ, ત્યારે તેમના ‘વાલીદ’ (પિતા) હયાત હતા કે નહિ?
જવાબ : હયાત હતા.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના 'વાલીદે' ઈસ્લામનો સ્વીકાર કયારે કર્યો?
જવાબ : હિજરી સન ૮માં 'ફતેહ-મક્કહ' વખતે તેમણે ઈસ્લામ સ્વીકાર્યો.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ને કેટલા ભાઈ બહેનો હતા
?
જવાબ. :બે ભાઈઓ અને બે બહેનો હતી.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હ)ની એક 'સાહેબઝાદી' ઉમ્મુલ મુઅમેનીન હઝરતે આયેશા સિદ્દિકા (રદિયલ્લાહો તઆલા અન્હા) છે. બીજા 'સાહેબઝાદી'નું નામ હઝરતે અસ્મા (રદિયલ્લાહો તઆલા અન્હા) હતું. હઝરતે અસ્મા (રદિયલ્લાહો તઆલા અન્હા હઝરતે આઈશા સિદ્દિકા (રદિયલ્લાહો તઆલા અન્હા)થી ઉંમરમાં કેટલાં મોટા હતા ?
જવાબ : તેઓ દશ વર્ષ મોટાં હતાં.
સવાલ : હઝરતે અસ્મા બિન્તે અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો) આ ફાની જગતમાં કેટલો સમય રહ્યા ?
જવાબ : તે પૂરા એક સો વર્ષ જીવ્યાં હતાં.
સવાલ : તે 'સહાબી'નું શું નામ છે જેમની સાથે હઝરતે અસ્મા (રદિયલ્લાહો તઆલા અન્હા)ની શાદી થઈ હતી ? એ 'સહાબી' 'હવ્વારી-એ. રસૂલ'ને નામે મશહૂર હતા કે કેમ ?
જવાબ : તેમનું નામ હઝરત ઝુબૈર બિન અલ્અવામ (રદિયલ્લાહો તઆલા અન્હો) હતું.
સવાલ : 'વફાત' વખતે હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની ઉંમર કેટલી હતી.
જવાબ: ત્રેસઠ વર્ષની હતી.
સવાલ : હિજરી અને ઈસ્વીસન
પ્રમાણે હઝરત સિદ્દિક’ અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની કઈ તારીખે 'વફાત' થઈ હતી ?
જવાબ :૨૨ જમાદીઉલ આખર, હિજરી ૧૩ અને રર ઓગસ્ટ ઇ.સ. ૬૩૪ની તારીખ હતી.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના જનાઝાની નમાઝ કોણે પઢાવી હતી અને નમાઝે-જનાઝામાં કેટલી 'તકબીરો' કહી હતી.
જવાબ : જનાઝાની નમાઝ હઝરત ઉમર ફારૂકે-આઝમ (રદિયલ્લાહો તઆલા અન્હો) એ પઢાવી હતી અને નમાઝે-જનાઝામાં ચાર 'તકબીરો' કહી હતી.
સવાલ : હઝરત સિદિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના ‘વાલીદ’ હઝરત અબૂકહાફહ (રદિયલ્લાહો તઆલા અન્હો) હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'વફાત' પછી કેટલો સમય દુનિયામાં રહ્યા અને તેમની 'વફાત' કયારે થઈ ?
જવાબ :હઝરત અબૂકહાફહ (રદિયલ્લાહો તઆલા અન્હો) હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'વફાત' પછી આ ફાની દુનિયામાં છ મહિના અને થોડાક દિવસો રહ્યા હતા, તેમની ‘વફાત’ વખતે તેમની ઉંમર ૯૭ વર્ષની હતી. તેવું ઈતિહાસમાં લખ્યું છે.
સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા
અન્હો)ની એકંદરે ચાર બીબીઓ હતી. તેમાંના એ બીબીનું શું નામ છે, જે હઝરત સિદ્દિકે અકબરની ‘વફાત’ પછી હઝરત અલી (કર્રમલ્લાહો વજહહુ)ના ‘નિકાહ'માં આવ્યા હતા ?
જવાબ :એ બીબીનું નામ અસ્મા બિન્તે અમીસ હતું.
સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો)ના એ ‘સાહેબઝાદા'નું શું નામ છે, જે ‘તાઇફ'માં ‘શહીદ' થઈ ગયા હતા ?
જવાબ : તેમનું નામ અબદુલ્લાહ (રદિયલ્લાહો તઆલા અન્હો) છે.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો) કયા વર્ષમાં અને કયા દિવસે 'ખલિફા’ થયા ?
જવાબ : હિજરી સન ૧૧ રબીઉલ અવ્વલની તા. ૧૪ના દિવસે 'ખલીફા' થયા. તેમના હાથ પર સૌ પ્રથમ હઝરત ઉમર ફારૂકે આ'ઝમે (રદિયલ્લાહો તઆલા અન્હો) ‘બયઅત' કરી હતી.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના ત્રણ 'સાહેબઝાદા' હતા. તેમના શું નામો છે?
જવાબ : (૧) હઝરત અબ્દુલ્લાહ (૨) હઝરત અબ્દુર્રહમાન અને (૩) હઝરત મુહમ્મદ બિન અબૂબક્ર ( રદિયલ્લાહો તઆલા અન્હો)
સવાલ : કોની 'તબ્લીગ'થી હઝરત ઉસ્માનગની, હઝરત ઝુબૈર બીન અલઅવામ,
હઝરત અબ્દુર્રહમાન બીન ઔફ, હઝરત તિલ્હા બિન ઉબૈદુલ્લાહ અને હઝરત સઅદ બીન વક્કાસે (રિદવાનુલ્લાહે તઆલા અલયહિમ અજમઈન) ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો ?
જવાબ: હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના પ્રયાસોથી તે સર્વે મુસલમાન થયા હતા.
સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની ‘ખિલાફત'માં સૌથી મોટા ‘કાઝી’ એટલે 'ચીફ જસ્ટીસ' કોણ હતા ?
જવાબ : હઝરત અલી (રદિયલ્લાહો તઆલા અન્હો) મોટા કાઝી તરીકે હતા.
સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો) એ ઈસ્લામ સ્વીકાર કર્યો, તે પહેલાં તેમનું શું નામ હતું ?
જવાબ : તેમનું નામ અબ્દુલ્લાહ, અબ્દુલકઅબહ હતું.
સવાલ : હઝરત અબુબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો)ની કબ્ર શરીફ કયાં છે ?
જવાબ: 'ગુંબદે-ખિજ્રા'માં, હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના કદમ શરીફ પાસે તેમની કબર છે.

તયબાહ : ૧-૮-૨૦૦૪
અનુક્રમણિકા પર પાછા જાઓ

હિકમતે નબવી (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)

(સંપાદક : હાજી ઉસ્માનભાઈ ખત્રી, ચિશ્તી (તંત્રી 'તયબાહ'-માસિક)
સરવરે આલમ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)નો એક લકબ "હકીમુલ ઉમ્મત” પણ છે, એટલે કે આપ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) જે પ્રકારે દુનિયાએ ઇન્સાનિયતની ઈમાની તથા અખ્લાકી બિમારીઓ શિર્ક, નિફાક, ખયાનત, તકબ્બુર, ઝુલ્મ વગેરેનો ઈલાજ કરતા હતા. તે જ રીતે ઉમ્મતની શારીરિક બિમારીઓના ઉપચાર વિષે પણ માર્ગદર્શન આપતા હતા.
હુઝૂર સરકારે દોઆલમ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) બિમારીનો ઈલાજ ત્રણ પ્રકારે કરતા હતા. (૧) દવાઓથી (૨) દુઆઓથી (૩) દવાઓ અને દુઆઓથી : તાવ માટે આપ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવતા હતા કે, “તાવ જહન્નમની ગરમીનું પ્રતિક છે, માટે ઠંડા પાણીથી તે ગરમીને હળવી કરો.' વળી એમ પણ ફરમાવતા કે, “તમારા પૈકી કોઈને તાવ આવતો હોય તો ત્રણ દિવસ સુધી દરરોજ સવારે તેની ઉપર ઠંડું પાણી છાંટો.’” ‘મુસ્નદે અહમદ’માં એક રિવાયત એવી છે કે, જ્યારે ખુદ હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ને તાવ આવતો ત્યારે આપ પોતાના માથા ઉપર પાણી રેડતા હતા. 'તિરમિઝી'
ની રિવાયતમાં આવ્યું છે કે, હુઝૂરે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવ્યું છે કે, જ્યારે તમારા પૈકી કોઈને તાવ આવે તો જાણી લે કે, આ તાવ દોઝખની ગરમીનું એક અંગ છે, માટે તેને પાણી દ્વારા ઠંડું કરે. જો તે દર્દી ચાલી શકતો હોય તો. નહેર કે નદી ઉપર વહેલી સવારે જઈને પાણીમાં ત્રણ ડૂબકીઓ ખાઈ લે. ત્રણ દિવસ આવી રીતે ઠંડા પાણીમાં નહાવાથી તાવ નાબૂદ થઈ જાય તો સારૂ. નહીંતર પાંચ દિવસ અગર સાત દિવસ સુધી આ પ્રમાણે કરે, સાતથી વધુ વાર કરવું નહિ.
હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ની ઉપરોકત રિવાયતો વિષે હદીષના ઉલ્માઓનું સર્વાનુમતે એવું કથન છે કે, તાવનો ઉપરોકત ઈલાજ કેવળ હિજાઝવાસીઓ માટે જ ઉપયોગી છે, કારણ કે હિજાઝમાં લુક ગરમી લાગવાથી જ વધુ પ્રમાણમાં તાવ આવે છે. તે છતાં અત્રે આપણે જોઈએ છીએ કે તાવમાં કેટલીક વખત પાણીનાં પોતાં માથા કે કપાળ ઉપર મુકવાથી તાવ હલકો પડી જાય છે. દરેક દેશ માટે આ પ્રથા ઉપયોગી નથી.
મુહસીને ઇન્સાનીયત (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) જાણતા હતા કે, પેટની પીડા અંદરના બગાડથી
થાય છે. બુખારી શરીફ અને મુસ્લિમ શરીફમાં આ રિવાયત મળી આવે છે કે, એક માણસ આપ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ની સેવામાં હાજર થયો અને અરજ કરી. યા રસૂલલ્લાહ! (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) મારા ભાઈના પેટમાં ખૂબ જ દુખાવો (પીડા) થઈ રહ્યો છે. આ સાંભળી હુઝૂરે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) તેને શહદ (મધ) પાવાનું કહ્યું, તે માણસ આ ઈલાજ સાંભળીને જતો રહ્યો. તે કેટલાક સમય બાદ પાછો આવ્યો અને કહ્યું આપના કથનાનુસાર મેં તેને મધ પીવડાવ્યું છતાં તેની પીડા ઓછી થઈ નથી. આપે કહ્યું કે, ફરીથી મધ પીવડાવ. તે ગયો અને પછી પાછો આવ્યો અને જણાવ્યું કે, હજુ પણ તેનું દર્દ જેમનું તેમ છે. આપે ફરીથી તેને મધ પાવાનું કહ્યું. આવી રીતે પેલો માણસ ત્રણથી ચાર વખત આવ્યો અને કહ્યું કે, તેની પેટની પીડા મટી નથી. ચોથી વખતે જ્યારે તે આવ્યો, ત્યારે આપે કહ્યું, 'અલ્લાહ સાચો છે અને તારા ભાઈનું પેટ જુઠું છે.” એનો અર્થ એ કે તારા ભાઈના પેટમાં પુષ્કળ બગાડ છે, નહીંતર ખુદાવંદે કરીમે પોતાના રસૂલને બતાવેલા ઉપચારો નિષ્ફળ જાયઝ શી રીતે ?
હુઝૂરે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) પેલા દર્દીને વારંવાર મધ પીવડાવવાનું જણાવ્યું હતું. તેમાં રહસ્ય એ હતું કે કોઈ પણ દવા જ્યાં સુધી પુરેપુરા પ્રમાણમાં અપાઈ ન હોય, તે દર્દીને લાભકર્તા નીવડતી નથી. તેથી તબીબ લોકો પણ દર્દીના દર્દનું નિદાન કરીને દવાના પ્રમાણમાં વધારો ઘટાડો કરતા હોય છે. જો પ્રમાણ ઓછું હોય, તો ફાયદો નહીં થાય અને પ્રમાણ વધુ હશે તો નુકસાન થશે.
સરકારે દોઆલમે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ન્યુમોનીયા અને મોતીઝરાનો ઈલાજ "કુશ્તેબહરી” દ્વારા કરવાની આજ્ઞા આપી છે. કુશ્તેબહરી એક ઝાડનાં ખૂબ જ કડવાં મૂળ છે, જે આપણા દેશમાં પુષ્કળ મળે છે. યુનાની દવાવાળાઓ તે વેચે છે, ‘તિરમિઝી શરીફ'ની એક રિવાયતમાં છે કે, હુઝૂરે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) હઝરત અહમદ ઈબ્ને અકરમને મોતીઝારા માટે કુશ્તેબહરી અને તેલના ઉપયોગનો આદેશ આપ્યો હતો. આ દર્દ બાળકોને થાય છે. તેને વરાધ કહે છે. જ્યારે મોટા માણસોને થાય છે, ત્યારે તેને ન્યુમોનીઆ કહે છે. તે દર્દ શરદીના કારણે થાય છે અને તેના બે
પ્રકાર હોય છે. એક પ્રકાર તો એવો છે કે, જેમાં બંને પાંસળીઓ વચ્ચેની ઝિલ્લી (પડદા) ઉપર સોજો આવી જાય છે. જ્યારે બીજો પ્રકાર એવો છે કે જેમાં ડાબા પડખામાં શૂળ ઉપડે છે. “કુશ્તે હિન્દ” વાટીને તેલમાં મેળવી તેનો લેપ કરવાથી અથવા હળવા હાથે માલિશ કરવાથી આ દર્દ નાબુદ થઈ જાય છે.
હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ને જ્યારે મુબારક માથામાં દુઃખાવો થતો, ત્યારે આપ મુબારક માથા ઉપર મહેંદી મૂકતા હતા અને ફરમાવતા હતા કે, આ વસ્તુ માથાના દુખાવામાં લાભકારક નિવડે છે. 'ઇબ્ને માજહ'માં એક રિવાયત એવી આવી છે કે, જ્યારે આપને માથામાં દુખાવો થતો ત્યારે આપ મહેંદીને પાણીમાં પલાળી, આખા માથા ઉપર લગાડતા હતા અને ફરમાવતા હતા કે, મહેંદી માથાના દુઃખાવામાં અલ્લાહના હુકમથી ફાયદો આપે છે.
હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)નો આ ઉપચાર ગરમીના કારણે માથું દુઃખતું હોય તો ખરેખર લાભદાયક પુરવાર થયો છે. 'અબૂદાવૂદ'માં એક રિવાયત છે કે, જ્યારે કોઈપણ વ્યક્તિ, હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) સમક્ષ માથાના
દુઃખાવાની વાત કરતી, ત્યારે આપ તેને માથા ઉપર મહેંદી જ લગાડવાની સલાહ આપતા હતા. 'તિરમિઝી'માં એક રિવાયત છે કે, હુઝૂરે ગુમડાં અને ફોલ્લી ઉપર પણ મહેંદી જ લગાડવાની સલાહ આપી છે.
સરકારે દોઆલમ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) કાકડા માટે પણ કુશ્તે હિન્દીના ઉપયોગની ભલામણ કરતા હતા. કેટલીક સ્ત્રીઓ બાળકોના ગળામાં કાકડા ફૂલી જતાં પોતાનો અંગૂઠો તેના હલકમાં , નાખી કાકડાને દબાવી દે છે. આ રીતે કાકડામાંથી કેટલૂક લોહી વહી જાય છે, પરંતુ સરકારે દોજહાંએ કાકડાનો આવો ઈલાજ કરવાની મનાઈ ફરમાવી છે. તેને બદલે સિંગી અથવા કુશ્તેબહરીનો ઉપયોગ બતાવ્યો છે. કોઈપણ બાળકના કાકડા વધી ગયા હોય અથવા તેના માથામાં દર્દ હોય તો, કુશ્તેબહરી પાણી સાથે વાટીને બાળકના ગળા અથવા માથા ઉપર તેનો લેપ કરવો જોઈએ.
મુહસિને આઝમે (સલ્લલ્લાહો અલયહે - વસલ્લમ) હૃદયરોગ Heart Disease માટે મદીનહ મુનવ્વરહની મશહૂર ખજૂર 'અજવહ'ના ઉપયોગની ભલામણ કરી છે. 'અબૂ દાવૂદ'માં હઝરત સઅદ (રદિયલ્લાહો અન્હો)થી રિવાયત આવી છે કે, એક વખત, હું બિમાર
પડયો. હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) મને જોવા આવ્યા અને મારી છાતી ઉપર પોતાનો મુબારક હાથ મૂકયો. આ પવિત્ર હાથની ઠંડક છેક મારા હૃદય સુધી પહોંચી. પછી આપે મને સંબોધીને કહ્યું કે, તમોને હૃદયની બીમારી છે. તે જ અરસામાં હારિસ બિન કલ્દહ (રદિયલ્લાહો અન્હો) ત્યાં આવ્યા. હુઝૂરે તેમને કહ્યું કે, દર્દીને અજવહ ખજૂરની સાત પેશીઓ આપો. તેઓ બજારમાં ગયા. અજવહની સાત પેશીઓ તેમણે મને લાવી આપી, જેથી ખરેખર મારૂં દર્દ મટી ગયું. સૌ જાણે છે કે અજવહમાં હૃદયરોગ નાબૂદ કરવાની અજબ તાસીર ખુદાએ રાખી છે.
હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ની એક હદીસ છે કે, જે માણસ દરરોજ સવારે અજવહની સાત પેશીઓ ખાશે, તેને તે દિવસે કોઈપણ ઝહેર કે જાદુ અસર કરશે નહી.
ઉલ્માએ કિરામનું કથન છે કે, કોઈપણ દર્દથી મુક્તિ મેળવવા માટે સૌ પ્રથમ શર્ત એ છે કે, દર્દીએ દવા ઉપર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ. કેટલાક બુઝુર્ગો કેવળ કાળાં-મરીથી જ તમામ પ્રકારની બીમારીઓનો ઈલાજ કરતા હતા. ઘણા ખરા બુઝુર્ગો પ્રત્યેક બીમારીમાં માત્ર શહદ (મધ)
આપતા હતા. સારા અકીદહની બરકતથી કેવળ મધ અને કાળાં મરી જ પ્રત્યેક બીમારીની દવા થઈ પડતાં હતાં. એટલે ઉપચારમાં વિશ્વાસ આવશ્યક છે. તે વગર કંઈ પણ લાભ ગમે તેવી પણ દવાથી થઈ શકવાનો નથી.જો ભરોસો હશે તો મામૂલી દવાથી ફાયદો થઈ જશે અને ભરોસો નહીં હોય તો હજારોની કિંમતી દવાઓ પણ બેઅસર પૂરવાર થશે.
સરકારે દોઆલમે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) કોઈ પણ ઘા કે ઝખ્મમાંથી વહેતું લોહી બંધ કરવા માટે ટાટ (કન્તાન)નો કટકો બાળી, તેની રાખ ઝખમ ઉપર મૂકવાનો આદેશ આપ્યો છે. આ રાખ ગમે તેવા ઝખમમાંથી વહેતું લોહી બંધ કરી દે છે. જંગે ઉહદમાં, જ્યારે ખુદ સરકાર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)નો ચહેરો મુબારક ઝખ્મી થયો અને તેમાંથી પુષ્કળ લોહી વહી જતું હતું, ત્યારે ઘેર આવ્યા બાદ, હઝરત (ફાતિમા રદિયલ્લાહો તઆલા અન્હા)એ, તે ઝખમ પાણી વડે ધોઈ નાખ્યો. હઝરત અલી (રદિયલ્લાહો અન્હો) ઝખમ ઉપર પાણી નાખતા હતા અને હઝરત ફાતિમહ રદિયલ્લાહો તઆલા અન્હા તે ઘાને ધોઈ રહ્યાં હતાં. પછી તેમણે એક ટાટનો કટકો બાળીને, તેની રાખ ઘા ઉપર થોપી દીધી,
જેથી તે જ સમયે વહેતું લોહી બંધ થઈ ગયું. આપણે જોઈએ છીએ. કે, કોઈ પણ કપડું અગર રૂ બાળીને ઘા ઉપર મૂકવાથી લોહી બંધ થઈ જાય છે. આ પ્રથા જુના વખતથી ચાલી આવે છે અને સરકારે દોઆલમે પણ તેનો નિર્દેશ કર્યો છે. આજે જાત જાતની અદ્યતન અને અસરકારક દવાઓ તથા ઈન્જેકશનો શોધાયાં છે. છતાં સરકારે દોઆલમે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) લોહી બંધ કરવા જે ઉપરોકત તરકીબ બતાવી છે, તે આજે પહેલાંની જેમજ અસરકારક પૂરવાર થઈ છે.
મોહસીને ઈન્સાનીયત (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) નબીયે કરીમે, શરીરના અવયવોને ‘ખાલી’ ચઢી જતાં ઠંડું પાણી તેની ઉપર વહાવવાનો આદેશ આપ્યો છે. કહે છે કે કેટલાક માણસો જંગલમાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓ એક વૃક્ષ પાસે રોકાયા. ભૂખ લાગી હોવાથી તે લોકો તેનાં ફળ ખાવા લાગ્યા. આ લોકો તે વૃક્ષ કે ફળથી પરિચિત ન હતા. પરિણામ એ આવ્યું કે, થોડીક જ વારમાં તેમના અમુક અવયવોને ખાલી ચઢવા માંડી અને ધીમે ધીમે આખું શરીર સૂનું પડી ગયું. જ્યારે હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) પાસે આ બાબતની ખબર આવી,
ત્યારે આપે ફરમાવ્યું કે, “તેમના શરીર ઉપર ઠંડું પાણી વહાવો” લોકોએ તુરત જ તેમ કર્યું. જોત જોતામાં જ તેઓ સૌ સાજા થઈ ગયા.
હુઝૂરે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) આ રીતે પાણી વહાવવાનો આદેશ ફજરની અઝાન અને ઈકામત વચ્ચે આપ્યો હતો. એટલે આપણે પણ આ પ્રયોગ તે જ અરસામાં કરવો જોઈએ. ઈન્શા અલ્લાહ યકીનન ફાયદો થશે.
હુઝૂરે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવ્યું છે કે, બિમારોને ખાવા-પીવાથી નફરત અપાવો નહિં. કારણ કે અલ્લાહ તઆલા જ તેમને ખાવા-પીવાનું આપે છે. આ હદીસ તિરમિઝી અને ઇબ્ને માજામાં રજૂ થઈ છે. દર્દીને હળવો અને નરમ ખોરાક અવશ્ય આપવો જોઈએ. દર્દીને શારીરિક કે માનસિક કષ્ટ પણ આપવું જોઈએ નહીં. તેને હળવો ખોરાક, સુંદર સુગંધીઓ અને આનંદદાયક વાતોથી ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને ખોરાકમાં જવની ઘેંસ આપવા કહ્યું છે. આ વસ્તુ તૈયાર કરવાની રીત એ છે કે જવનો લોટ લઈ તેમાં પાણી નાખી ગરમ કરી ખદખદાવવો જોઈએ. ન તો ઘણો નરમ રહેવો જોઈએ ન તો ખીચડીની જેમ જાડો થઈ જાય. આ ખોરાક ખૂબ જ હળવો, જલ્દીથી પચી
જાય તેવો અને શક્તિદાયક હોય છે. વળી તેમાં ખાસ ગુણ એ છે કે તે આનંદદાયક પણ છે. જો મનુષ્યની તબીયતમાં ઉદાસિનતા, કરૂણતા કે દુઃખની ભાવના ઘર કરી બેઠી હોય તો તેને ઉપરોકત ખોરાક આપો. ઈન્શાઅલ્લાહ થોડા જ વખતમાં તેમાં સ્ફૂર્તિ, તેજ અને શક્તિ આવવા માંડશે અને તેનું દુઃખી માણસ પ્રફુલ્લિત બનશે.
હઝરત આયેશા (રદિયલ્લાહો તઆલા અન્હા) ફરમાવે છે કે, જ્યારે સરકારે દોઆલમ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) સમક્ષ એવી વાત થતી કે, ફલાણો દર્દી ખોરાક નથી લેતો અથવા તેનાથી ખોરાક લેવાતો નથી, તો હુઝૂર ફરમાવતા કે, તેને તલબી (જવની નરમ પાતળી ઘેંસ) આપો. મને તે ઝાતેપાકના સોગંદ છે, જેના હાથમાં મારા પ્રાણ છે કે, તલબીહ પેટને એવી રીતે ધોઈને સ્વચ્છ કરી નાખે છે કે જેવી રીતે તમે તમારા મોઢાને દાંતણથી સાફ કરી નાખો છો. આ હદીસોને વર્તમાનયુગની હિકમત અને ડોકટરોનો પણ ટેકો છે. જવનું પાણી વગેરે અશક્ત માણસો અને દર્દીઓને આપવાની પ્રત્યેક તબીબ ભલામણ કરે છે. ખરેખર તે લાભદાયી જ નિવડે છે.

તયબાહ ૧-૧૦-૨૦૦૪
અનુક્રમણિકા પર પાછા જાઓ

મસ્જિદોની ફઝીલત

(કાર્યાલય)
મસ્જિદ બનાવવી (એમાં તેને બનાવવા માટે માલથી, જાનથી મદદ કરવી તથા તેના માટે જમીન આપવી, તેમાં ભાંગે તૂટે તે દુરૂસ્ત કરવું, બધું આવી ગયું) અને તેના હકો અદા કરવા (એ હકોમાં આ બધી વાતો આવી ગઈ) યાને (૧) તેમાં નમાઝ પઢવી ખાસ કરીને જમાઅત સાથે (૨) તેને સાફ રાખવી (૩) તેનો અદબ કરવો. (૪) તેની ખિદમત કરવી. (૫) ત્યાં વધારે હાજરી આપવી. તે વિષે અમુક આયતો અને હદીસો નીચે મુજબ છે.
આયતો : (૧) ફરમાવ્યું અલ્લાહ તઆલાએ કે
“તે માણસથી વધારે ઝાલિમ કોણ હશે ? જે ખુદા તઆલાની મસ્જિદોમાં તેનો ઝિક્ર (અને ઈબાદત) કરવાની મનાઈ કરે અને તેમને વેરાન થવાની કોશિશ કરે છે.
(૨) અલ્લાહની મસ્જિદોને (ખરી રીતે) આબાદ કરવી તે લોકોનું કામ છે, જેઓ અલ્લાહ પર અને કિયામતના દિવસ પર ઈમાન રાખતા હોય અને નમાઝની પાબંદી કરતા હોય અને ઝકાત દેતા હોય અને અલ્લાહ સિવાય કોઈથી ના ડરતા હોય. તે એવા લોકોને માટે આશા (યાને વાયદો) છે કે, (તેઓ) પોતાના મકસૂદ (યાને જન્નત અને નજાત) સુધી પહોંચી જાય. (સૂરએ તૌબા)
ઉપરની
આયતમાં મસ્જિદને આબાદ કરવાવાળા માટે જન્નત અને ઈમાનની ખુશખબરી છે. જેમકે અબુસઈદ ખુદરી (રદિયલ્લાહો અન્હો)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)એ ફરમાવ્યું કે, જ્યારે તમે લોકો કોઈ માણસને જુઓ કે તે મસ્જિદનો ખ્યાલ રાખે છે (તેમાં તેની ખિદમતનો ખ્યાલ અને ત્યાં હાજર રહેવાનો ખ્યાલ બધું આવી ગયું) તો તમે લોકો એના ઈમાનની ગવાહી આપી દો. કેમકે અલ્લાહ તઆલા ફરમાવે છે, “ઈન્નમા યઅમરૂ...." (એ તે જ આયત છે જેનો તરજુમો ઉપર લખવામાં આવ્યો છે. (મિશ્કાત, તિરમિઝી, ઇબ્ને માજહ, દારમી)
(૩) હિદાયત પામેલા લોકો એવા ઘરોમાં જઈને ઈબાદત કરે છે જેમના વિષે અલ્લાહ તઆલાએ હુકમ આપ્યો છે કે, તેમનો અદબ કરવામાં આવે અને તેમાં અલ્લાહ તઆલાનું નામ લેવામાં આવે. (સૂરએ નૂર)
આ ઘરોથી મુરાદ મસ્જિદો છે અને તેમનો અદબ એ છે, જેનું વર્ણન આગળ હદીસોમાં આવે છે.
હદીસો : (૧) હઝરત ઉસ્માન (રદિયલ્લાહો અન્હો)થી રિવાયત છે કે, મદની તાજદારે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવ્યું કે, જે માણસ કોઈ મસ્જિદ બનાવે
અને તેનો હેતુ માત્ર ખુદા તઆલાને ખુશ કરવાનો જ હોય અને કોઈ દુષ્ટ હેતુ ન હોય, તો અલ્લાહ તઆલા તેના માટે તેના જ જેવું (તેનું ઘર) જન્નતમાં બનાવશે. (બુખારી, મુસ્લિમ)
આ હદીસથી નિય્યત દુરૂસ્ત કરવાની તાકીદ પણ જાણવા મળી અને જો નવી મસ્જિદ ન બનાવે. બલ્કે જૂની મસ્જિદનું સમારકામ કરાવી દે, તેનો સવાબ પણ તેનાથી જાણવા મળ્યો, કેમકે હઝરત ઉસ્માને (રદિયલ્લાહો અન્હો) મસ્જિદે નબવીનું સમારકામ કરીને એ હદીસ બયાન ફરમાવી હતી. બીજી હદીસોથી પણ તેની સાબિતી મળે છે. હઝરત જાબિર બિન અબ્દુલ્લાહથી રિવાયત્ત મળે છે કે, જે માણસ કોઈ મસ્જિદ બનાવે (બનાવવમાં માલ ખર્ચ કરવો, યા જાતની મહેનત ખર્ચ કરવી બંને આવી ગયા.) જેવી રીતે કે (જમઉલ ફવાઈદ' માં 'રીઝન'થી હઝરત અબુ સઈદની રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) મસ્જિદે નબવી બનતી વખતે પોતે જાતે કાચી ઈંટો ઉઠાવી હતી. ચાહે તે ‘કુતાત' (એક પત્થર ખાનારા) પક્ષીના માળા બરાબર હોય અથવા તેનાથી પણ નાની હોય, અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં એક ઘર બનાવી દેશે
(ઇબ્ને ખુઝયમહ તથા ઈબ્ને માજહ)
એ હદીસથી કોઈ મસ્જિદ બની રહી હોય તેમાં ચંદો આપવાની ફઝીલત પણ જાણવા મળી, કેમકે 'માળા'ની બરાબર બનાવવાનો મતલબ એ જ હોઈ શકે છે કે પુરી મસ્જિદ બનાવી શકયો નહિ પણ તેના બાંધકામમાં થોડો શરીક થઈ ગયો. જેનાથી તેની રકમના મુકાબલામાં તે મસ્જિદનો એટલો થોડો ભાગ આવી ગયો. ઉપરની હદીસમાં જે આવ્યું છે કે તેના જેવું જન્નતમાં ઘર બનશે. તેનાથી એમ સમજવામાં ન આવે કેએ માત્ર માળા જેટલું ઘર બની જશે ! કેમકે ‘મિસલ’ (જેવું હોવા)નો મતલબ એવો નથી કે નાનું-મોટું હોવામાં તેના જેવું હશે ? બલ્કે મતલબ એવો છે કે, જેવો તે માણસનો ઈખ્લાસ હશે, તે પ્રમાણે ઘર બનશે પરંતુ લંબાઈ પહોળાઈમાં બહું જ મોટું હશે. હઝરત અબ્દુલ્લાહ બિન ઉંમર (રદિયલ્લાહો અન્હો)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) એ ફરમાવ્યું કે, જે માણસ અલ્લાહને માટે મસ્જિદ બનાવશે, તેના માટે અલ્લાહ જન્નતમાં એક ઘર બનાવશે, જે તેનાથી બહુ જ લાંબું પહોળું હશે. (અહમદ)
(૨) હઝરત અબૂ હુરૈરહ (રદિયલ્લાહો
અન્હો)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)એ ફરમાવ્યું કે, જે માણસ ઈબાદતને માટે હલાલ માલથી કોઈ ઈમારત (યાને મસ્જિદ) બનાવે, અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં મોતી
અને યાકુતનું ઘર બનાવશે. (તિબરાની અવસત)
એ પણ મસ્જિદનો અદબ છે કે તેને બનાવવામાં હરામ માલનો ઉપયોગ કરવામાં ન આવે, ચાહે તે રૂપિયા પૈસા હોય, ચાહે સરસામાન હોય, ચાહે જમીન હોય, જેમકે કેટલાક લોકોને શોખ થાય છે કે જમીનદારની જમીનમાં તેની આજ્ઞા વગર મસ્જિદ બનાવી લે છે, પછી રોકટોક કરવાથી લડવા માટે મારવા તૈયાર થઈ જાય છે અને તેને ઈસ્લામની મોટી ખિદમત અને તરફદારી સમજે છે. વળી ખાસ કરીને જ્યારે જમીનવાળો ગેરમુસ્લિમ હોય ત્યારે તો તેને કુફ્ર અને ઈસ્લામનો મુકાબલો સમજે છે ! તો ખૂબ સમજી લો કે એવી જમીનમાં જે મસ્જિદ બનાવવામાં આવે તે શરીઅતની નજરમાં મસ્જિદ જ નથી. અલબત્ત જમીનદારની ખુશીથી પોતાની મિલ્કત ઠરાવીને પછી તેમાં મસ્જિદ બનાવવી જોઈએ.
(૩) હઝરત અબુ સઈદથી રિવાયત છે કે, એક તદ્દન શ્યામવર્ણી સ્ત્રી હતી (કદાચ
હબશણ હોય), જે મસ્જિદમાં ઝાડુ આપતી હતી. એક રાત્રે તે મરણ પામી. જ્યારે સવાર થઈ તો મદની તાજદાર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ને ખબર આપવામાં આવી. આપ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) સહાબાને લઈને બહાર તશરીફ લઈ ગયા અને તેની કબ્ર પાસે ઉભા થઈને તકબીર ફરમાવી (મુરાદ જનાઝાની નમાઝ છે) અને તેના માટે દુઆ કરીને પાછા આવ્યા. (ઈબ્ને માજહ, ઈબ્ને ખુઝયમહ) (આ નમાઝ હુઝૂર માટે ખાસ હતી.)
એક રિવાયતમાં છે કે આપે તેને પૂછયું કે, તેં કયા અમલને વધારે ફઝીલતવાળો જોયો ? તેણે જવાબ આપ્યો કે મસ્જિદમાં ઝાડુ મારવાનો ! (અબૂશ્શયખ અસ્બિહાની)
મસ્જિદમાં ઝાડુ દેવાના તુફેલમાં એક ગરીબ ગુમનામ હબશણ કે જેની ગરીબી અને ગુમનામીને કારણે તેની વફાતની ખબર પણ હુઝૂરે અકદસ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ને સવારે કરવામાં આવી, હુઝૂરે અકદસે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) તેની કેટલી મોટી કદર ફરમાવી ! કબ્ર ઉપર પણ તશરીફ લઈ ગયા અને તેના માટે જનાઝાની નમાઝ પઢી અને તેના માટે દુઆ ફરમાવી. પછી હુઝૂરના પુછવા પર ખુદ તેણે એ અમલની કેટલી મોટી ફઝીલત બયાન
કરી ! અફસોસ, મસ્જિદમાં ઝાડુ દેવાને લોકો હવે અયબ અને ઝિલ્લત સમજે છે !!!
(૪) 'અબુકરસાફહ'થી એક લાંબી હદીસમાં રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)એ ફરમાવ્યું, “મસ્જિદમાંથી કચરો (ધૂળ) કાઢવો એ મોટી આંખોવાળી હુરોની મેહર છે.’
(તિબરાની, કબીર)
(૫) અબુસઈદ ખુદરીથી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)એ ફરમાવ્યું કે, જેણે મસ્જિદમાંથી એવી ચીજને બહાર કાઢી, જેનાથી તકલીફ થતી હતી (જેવી કે કચરો, કાંટો તથા કાકરા, પથ્થર) તેના માટે અલ્લાહ તઆલા જન્નતમાં એક ઘર બનાવશે. (ઈબ્ને માજહ)
(૬) હઝરત આઈશા (રદિયલ્લાહો અન્હા)થી રિવાયત છે કે, અમને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)એ મહોલ્લે મહોલ્લે મસ્જિદો બનાવવાનો તથા તેમને પાક સાફ રાખવાનો હુકમ ફરમાવ્યો. (અહમદ, તિરમિઝી, અબૂ દાઉદ, ઈબ્ને માજહ, ઈબ્ને ખુઝયમહ)
પાક રાખવાનો મતલબ એ છે કે, તેમાં કોઈ નાપાક આદમી, નાપાક કપડું, નાપાક તેલ વગેરે જવા પામે નહિ. સાફ રાખવાનો મતલબ એ છે કે, તેમાંથી ધૂળ-કચરો કાઢતા રહો.
(૭)
'વાસિલતહ બિન અસ્કહ'થી એક લાંબી હદીસમાં રિવાયત છે કે, નબી (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)એ ફરમાવ્યું કે, મસ્જિદોને દર જુમ્માએ (ખુશ્બૂની) ધુણી આપતા રહો. (ઈબ્ને માજહ, કબીર, તિબરાની)
ધુણી માટે જુમ્આની શર્ત નથી. તે દિવસે નમાઝી વધારે હોય છે. તેમાં દરેક પ્રકારના લોકો હોય છે, કદી કદી ધુણી આપી દેવી યા બીજી કોઈ રીતે ખુશ્બૂ લગાડી દેવી અથવા છાંટવી એ બરાબર છે.
(૮) હઝરત અબૂ હુરૈરહ (રદિયલ્લાહો અન્હો)થી રિવાયત છે કે, મદની સરકારે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવ્યું કે, જ્યારે તમે કોઈને મસ્જિદમાં ખરીદ અથવા વેચાણ કરતાં જુઓ, તો એવું કહી દો કે, અલ્લાહ તઆલા તારા વેપારમાં નફો આપે નહી! જ્યારે એવા માણસને જુઓ કે ગુમ થએલી વસ્તુને મસ્જિદમાં બુમો પાડી પાડીને શોધી રહ્યો છે, તો એવું કહી દો ખુદા તઆલા તે વસ્તુ તને મેળવે નહિ !
(તિરમિઝી, નિસાઈ, ઈબ્ને ખુઝયમહ અને હાકિમ)
એક રિવાયતમાં આ ઈરશાદ પણ છે કે, મસ્જિદો એવાં કામો માટે બનાવવામાં આવી નથી. (મુસ્લિમ, અબૂ દાવૂદ, ઈબ્ને માજહ)
તેનાથી મુરાદ તે
ચીજની શોધ કરવી છે, જે (મસ્જિદની) બહાર ગુમ થઈ હતી. પણ મસ્જિદમાં એટલા માટે બુમો પાડી રહ્યો છે કે જુદા જુદા લોકોનો મજમો છે, શાયદ કોઈ પણ પતો મેળવી આપે. પણ જો લડાઈ ઝઘડાનો ભય હોય તો દિલમાં કહી લો, કે ખુદા તને તે વસ્તુ મેળવે નહિ. એ હદીસમાં મસ્જિદના બાતિની અદબનું બયાન છે કે ત્યાં દુનિયાના કામો કરો નહિ.
(૯) હઝરત ઈબ્ને ઉમર (રદિયલ્લાહુ તઆલા અન્હો) થી રિવાયત છે કે, નબીયે કરીમે (સલ્લલ્લાહો | અલયહે વસલ્લમ) ફરમાવ્યું કે, અમુક વાતો છે, જેને મસ્જિદમાં કરવી મુનાસિબ નથી. તેને રસ્તો બનાવવામાં આવે નહિ (જેમ કે કેટલાક લોકો લાંબો ચક્કર લેવાથી _બચવા માટે મસ્જિદની અંદર થઈને બીજી તરફ નીકળી જાય છે.) અને તેમાં હથિયારો ખેંચવામાં (ઉગામવામાં) આવે નહિ, અને ન તેમાં કમાન (તીર-કામઠાં) ખેંચવામાં આવે, તેમજ ન તેમાં તીરો વિખેરવામાં આવે (કદાચ - કોઈને લાગી જાય.) કાચું માંસ લઈને તેમાંથી પસાર ન થાય, ન તેમાં કોઈને સઝા દેવામાં આવે, ન તો તેમાં કોઈનાથી બદલો લેવામાં આવે (જેને શરીઅતમાં હદ અને 'કિસાસ'
કહે છે.) અને ન તેને બજાર બનાવવામાં (ઈબ્ને માજહ)
એ બધી વાતો મસ્જિદના અદબ વિરૂદ્ધની છે. (૧૦) અબ્દુલ્લાહ બિન મસ્ઉદ (રદિયલ્લાહો અન્હો)થી રિવાયત છે કે, દો આલમના તાજદાર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)એ ફરમાવ્યું કે, નજીકમાં જ આખિર જમાનામાં એવા લોકો થશે જેમની વાતો મસ્જિદોમાં થયા કરશે અલ્લાહ તઆલાને તે લોકોની કંઈ પરવાહ હશે નહિ. (યાને તેમનાથી રાજી નહિ થાય.) (ઈબ્ને હબ્બાન)
મસ્જિદમાં દુન્યાની વાતો કરવી એ પણ મસ્જિદની બેઅદબી છે.
(૧૧) અબ્દુલ્લાહ બિન ઉમર (રદિયલ્લાહો અન્હોમા)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો ફરમાવ્યું કે, જે માણસ જમાઅત (સાથે નમાઝ પઢવા) માટે મસ્જિદ તરફ ચાલે, તો તેનો એક કદમ એક ગુનાહને મિટાવે છે અને એક કદમ તેની નેકી લખે છે, જવામાં પણ અને પાછા આવવામાં પણ.
(અહમદ, તિબરાની, ઈબ્ને હબ્બાન)
હકતઆલાની રહમત કેટલી વિશાળ છે કે, જતીવખતે તો સવાબ મળે છે જ, પરંતુ પાછા ફરતીવખતે પણ તેવો જ સવાબ મળે છે.
(૧૨) અબૂ દરદાઅ (રદિયલ્લાહો અન્હો)થી રિવાયત છે કે, મદની તાજદારે
(સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ઈરશાદ ફરમાવ્યો કે, જે માણસ અંધારી રાત્રે મસ્જિદ તરફ જાય, તે કયામતના દિવસે ખુદા તઆલા સાથે નૂર સહિત મળશે. (તિબરાની)
૧૩) હઝરત અબૂહુરૈરહ (રદિયલ્લાહો અન્હો)થી રિવાયત છે કે, મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)થી સાંભળ્યું કે, કિયામતના દિવસે સાત માણસોને અલ્લાહ તઆલા પોતાના સાયામાં જગ્યા આપશે, તે દિવસે જ્યારે કે તેના સાયા સિવાય કોઈ સાયો નહિ હોય. તે પૈકી એક તે માણસ પણ છે જેનું દિલ મસ્જિદમાં લાગેલું હોય. (બુખારી, મુસ્લિમ વગેરે)
(૧૪) હઝરત અનસ (રદિયલ્લાહો અન્હો)થી રિવાયત છે કે, નબીયે કરીમે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવ્યું કે, તમે આ બદબુદાર તરકારીઓથી (યાને કાચી ડુંગરી, કાચા લસણ) બચો, જો તમારે તેમને ખાવાની જરૂરત જ હોય તો તેમને (યાને તેમની બદબોને) આગથી મારી દો, (એટલે પકાવીને ખાવ, કાચી ખાઈને ( મસ્જિદમાં ન આવો.) (તિબરાની)
(૧૫) અબુ ઉમામાથી રિવાયત છે કે, તેઓ પયગમ્બર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)થી રિવાયત કરે છે કે, આપે ફરમાવ્યું
કે, જે માણસ મસ્જિદ તરફ જાય અને તેનો ઈરાદો માત્ર એવો હોય કે કોઈ સારી વાત (યાને દીનની વાત) શીખે અથવા શીખવાડે, તો તેને હજ કરવાવાળાની બરાબર પુરો સવાબ મળશે.
(તિબરાની)
ઉપરોકત આયતો અને હદીસોથી સાબિત થયું કે,
(ક) દરેક નાની મોટી વસ્તીએ ત્યાંની જરૂરત અનુસાર મસ્જિદ બનાવવી જોઈએ.
(ખ) તે હલાલ માલથી અને હલાલ જમીનમાં હોવી જોઈએ.
(ગ) મસ્જિદનો અદબ કરવો. (એટલે તેને પાક રાખે) તેમાં ઝાડુ આપવામાં આવે. તેની જરૂરી ખિદમતનો ખ્યાલ રાખે. બદબુવાળી ચીજો જેવી કે તંબાકુ વગેરેનો ઉપયોગ કરીને અથવા તેને સાથ લઈને તેમાં ન જાય. ત્યાં દુનિયાનું કોઈ કામ અથવા વાત ન કરે.
(ઘ) મરદોએ નમાઝ મસ્જિદમાં પઢવી જોઈએ અને શરઈ ઉઝર વગર જમાઅત છોડવી ન જોઈએ. મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ પઢવામાં આ લાભો પણ છે કે, પરસ્પર સંબંધ વધે છે. એકબીજાની હાલતની જાણ થતી રહે છે. દા.ત. એક વખત હઝરત ઉમરે (રદિયલ્લાહો અન્હો) ‘સુલયમાન બીન અબી હશમહ’ને સવારની નમાઝમાં જોયા નહિ. એટલે હઝરત ઉમર (રદિયલ્લાહો અન્હો) બજારમાં ગયા. (હઝરત)
સુલયમાનનું ઘર કે જે મસ્જિદ અને બજારની વચમાં હતું, ત્યાં જઈ સુલયમાનની માને પૂછયું કે, “મેં સુલયમાનને ફજરની નમાઝમાં જોયા નહિ…” એ હદીસની નીચે આલિમોએ એવું પણ જણાવ્યું છે કે,
(ચ) મસ્જિદમાં એવા માણસને (ઇમામ તરીકે) રાખવામાં આવે કે તે વસ્તીવાળાઓને મસ્અલા મસાઈલ પણ બતાવતો રહે.
(છ) જ્યારે ફુરસદ મળે ત્યારે મસ્જિદમાં જઈને બેસવું જોઈએ. પણ ત્યાં જઈને દીનના કામોમાં અથવા દીનની વાતોમાં લક્ષ આપતો રહે. જો બધા માણસો આ (કાર્યક્રમ)ની પાબંદી રાખે, તો સવાબ ઉપરાંત મુસ્લિમ કૌમને પણ કુવ્વત મળતી રહેશે.
સ્ત્રીઓએ ઘરમાં જ નમાઝ પઢવાની છે. તેમણે મસ્જિદોમાં નમાઝ માટે જવાનું નથી.

તયબાહ ૧-૧૨-૨૦૦૪
અનુક્રમણિકા પર પાછા જાઓ

નમાઝ : અફઝલ ઇબાદત

(સંપાદક : હાજી ઉસ્માનભાઈ ખત્રી, ચિશ્તી (એડવોકેટ) (તંત્રી 'તયબાહ'-માસિક)
ઈસ્લામ ધર્મમાં બધી ઈબાદતોમાં નમાઝનું ઘણું જ મહત્વ છે. મુસ્લિમ સમાજ તરફ નજર : નાંખતાં જણાય છે કે, જે ઈબાદતનું ઘણું જ મહત્વ બતાવ્યું છે, તે જ ઈબાદત ભુલાઈ ગઈ છે, મસ્જિદોમાં અઝાનો થતી રહે છે, છતાં મુસલમાનો ગામ ગપાટા, કેરમબાઝી, ખેલ, તમાશા, ક્રિકેટબાઝી, જુગારબાઝી, હોટલબાઝી, બસ એવી કુઝૂલ વાતોમાં રચ્યા-પચ્યા રહે છે અને અલ્લાહના આમંત્રણ તરફ ધ્યાન આપતા જ નથી. ભાઈઓ કરતાં બહેનોની ગફલત પણ ઓછી નથી. મુસ્લિમ સ્ત્રીઓ (બહેનો) તો એવું જ સમજી બેઠી છે કે આ જમાનામાં અલ્લાહે તેમને માટે નમાઝ માફ કરી દીધી છે. દીકરીઓ જવાન થઈ જાય છે, છતાં તેમને પાંચ કલ્મા પણ આવડતા નથી. વુઝૂ કેવી રીતે કરવું, ગુસ્લ કેવી રીતે કરવું, નમાઝની રકઅતો કેટલી છે, કશું જ આવડતું નથી. હવે તો ઘેર ઘેર ટી.વી. ઘુસી ગયું છે એટલે બાળકો ટી.વી. જોયા કરે છે. તેથી જે થોડો ઘણો સમય કાઢીને બાળકોને ઉસ્તાદ પાસે બેસાડતા હતા, તે સમય પણ ટી.વી.( મોબાઈલ) એ લઈ લીધો
છે. આ બાળકો મોટાં થશે તો ઈસ્લામની ખિદમત તો બાજુએ રહી, પોતાની જિંદગી કેવી બનાવશે અને પોતાની આખેરત કેવી સંવારશે, તે ચિંતાનો વિષય છે. મા-બાપો જાગૃત હશે અને દીનદાર હશે તો બાળકો પણ દીનદાર થશે. આ દેશમાં ઈસ્લામ ધર્મને સરકાર તરફથી તો મોટો ખતરો (ભય) હજુ સુધી દેખાયો નથી. પરંતુ ખુદ મુસ્લિમ કૌમ પોતે, ઈસ્લામને આ દેશમાંથી, જાણે ભૂંસી કાઢવા, કમરબદ્ધ થઈ હોય એવું દેખાય છે : પુરુષોનીદાઢીઓને અંગ્રેજો લંડન લઈ ગયા અને સ્ત્રીઓના પરદાને, સિનેમાની બેશરમ નટીઓ ચોરી ગઈ. આધુનિક (ફેશનેબલ) દેખાવાના મોહમાં ઈસ્લામી ઈમારતની એકએક ઈટ ખેરવનારા મુસલમાનો જ છે. ઈસ્લામ કહે છે કે, કોઈ પણ મુસલમાને દારૂ પીવો હરામ છે. છતાં અલ્લાહના એ ફરમાનને ઠોકરે ચઢાવીને, ભારતમાં જે દારૂ વેચાય છે અને પીવાય છે, તેમાં મુસલમાનોની સંખ્યા જ વધારે છે. જુગાર રમવો અને રમાડવો ઈસ્લામે હરામ બતાવ્યો છે, છતાં જુગારની કલબોના માલિકો તરીકે મુસલમાનોની સંખ્યા વધારે છે. એવી જ રીતે ભારતની ફોજદારી કોર્ટોમાં જે ચોરી, ખૂન, વ્યભિચાર વગેરે
ગુનાહોના કેસો ચાલે છે, તેમાં મુસ્લિમોની સંખ્યા ગણના પાત્ર હોય છે. રમઝાન જેવા પવિત્ર મહિનામાં રોઝા નહિ રાખીને અલ્લાહની સાથે યુદ્ધે તો ચઢેલા જ છે, પરંતુ રમઝાનની અદબ પણ જાળવતા નથી. ખુલ્લા બજારમાં હોટલમાં બેસીને, રમઝાનમાં ચા પીએ છે, આઈસ્ક્રીમ ખાય છે, બીડી-સીગરેટ પીએ છે. અર્ધ વસ્ત્ર પહેરીને, ૧૨૦ ડિગ્રી ગરમીમાં, ખુલ્લી પીઠો રાખીને (પીઠ ઢાંકવાનું વસ્ત્ર પણ ન હતું) હાથમાં લાકડી અથવા ઊંટનું હાડકું, એવા શસ્ત્રો લઈને બદરના મેદાનમાં ૩૧૩ મુજાહિદો, જે પહેલી લડાઈ કાફિરો સામે લડયા, તે લડાઈ રમઝાન મહિનામાં થઈ હતી. ૩૧૩ મુજાહિદોએ આવી અસહ્ય ગરમીમાં પણ રોઝા રાખીને એ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. હિજરી વર્ષ ર માં રમઝાનની ૧૭મી તારીખે એ લડાઈ થઈ હતી. એ મુસલમાનો ઈસ્લામી બગીચાને હરિયાળો કરી ગયા. આજનો મુસલમાન ઈસ્લામના બગીચાને ખેદાન મેદાન કરી રહ્યો છે. તેના દરેક છોડને, દરેક ફૂલને, દરેક ડાળીને, જાણે-અજાણે નષ્ટ કરી રહ્યો છે.
આટલી બધી ગફલત, જેહાલત, સરકશી, નાફરમાની અને નિર્લજ્જતાનું કારણ એ છે કે,
આજના મુસલમાને નમાઝ છોડી દીધી છે. જો આપણા સમાજમાં ફરીથી નમાઝની તહેરીક (ચળવળ) જોર પકડે અને દરેક જણ નમાઝ પઢતો થઈ જાય તો સમાજમાં વ્યાપેલી દરેક બુરાઈઓને નમાઝ ધોઈ નાખશે. નમાઝ પઢનારો મુસલમાન અલ્લાહથી ડરતો રહેશે. એક વખત અલ્લાહનો ડર આપણા દિલમાં સ્થાપિત થશે તો જુગાર, સટ્ટો, ખૂન, વ્યભિચાર, ચોરી, નિર્લજજતાનાં કૃત્યો અને બીજી બધી બુરાઈઓ આપોઆપ દૂર થવા માંડશે. વ્યક્તિ સ્વચ્છ બનશે, તો સમાજ સ્વચ્છ બનશે અને સમાજ સ્વચ્છ બનશે તો પૂરી કૌમ સ્વચ્છ બનશે. પૂરી કૌમ સ્વચ્છ બનશે તો ઈસ્લામનો સંપૂર્ણ પ્રભાવ પડશે. સાચો ઈસ્લામ સાચા મુસલમાનોનાં આચરણમાં દેખાશે, ત્યારે ગૈયર કૌમને પણ ખાત્રી થશે કે, જે મુસલમાનો આટલા બધા ધર્મિષ્ઠ, નીતિવાન, સાચા બોલા, સ્વચ્છ, પવિત્ર અને ખુદાથી ડરનારા છે, તે મુસલમાનોનો ધર્મ કેવો સરસ હોવો જોઈએ. કોઈને કડવું લાગે તોય મને કહેવા દો કે આપણા ભાઈ-બહેનોએ ઈસ્લામને વગોવી રાખ્યો છે, ઈસ્લામને બદનામ કરી મુકયો છે. ઈસ્લામ અને ઈસ્લામવાળાઓમાં કેટલો મોટો તફાવત છે ? આજે જરૂર છે કે,
ઈસ્લામવાળા એટલે આપણે મુસલમાનો આપણા કર્મથી, આપણા આચરણથી સાચા ઈસ્લામને દુનિયા સમક્ષ પેશ કરીએ. તે માટે ઉત્તમ રસ્તો નમાઝનો છે. દરેક ઘરમાં નમાઝનો પ્રકાશ ફેલાય. તે માટેની ચળવળ ગામેગામમાં અને દરેક મહોલ્લામાં, યુવાનોએ ઉપાડી લેવી જોઈએ. ભૂલો થઈ છે, ખતાઓ થઈ છે. ગફલત થઈ છે. અલ્લાહની નાફરમાની થઈ છે, પરંતુ 'જાગ્યા ત્યારથી સવાર'ની કહેવત મુજબ, ફરીથી અલ્લાહના દરબારમાં પાછા વળીએ અને દીનના સુતુન (સ્થંભ) એટલે નમાઝને મજબૂતીથી વળગી પડીએ. આવો ! આપણા પ્યારા, આપણા આકા વ મૌલા રૂહી ફીદા, સરકારે દો આલમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે નમાઝ વિષે જે હદીસો ફરમાવી છે. તેને ફરીથી જોઈએ.યાદ કરીએ અને અમલ કરીએ.
નમાઝ વિષેની ચાલીસ હદીસો
મદની તાજદાર, નબીયે કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું છે કે,
(૧) અલ્લાહે મારી ઉમ્મત પર સૌથી પહેલાં નમાઝ ફર્ઝ કરી. કયામતમાં સૌથી પહેલો હિસાબ નમાઝનો જ થશે.
(ર) નમાઝ વિષે અલ્લાહથી ડરો. નમાઝ વિષે અલ્લાહથી ડરો. નમાઝ વિષે અલ્લાહથી ડરો.
(૩) માનવી અને શિર્કની વચ્ચે નમાઝનો જ
પર્દો છે.
(૪) ઈસ્લામની નિશાની નમાઝ છે, જે માણસ દિલને ચોખ્ખું કરીને, સમયસર નમાઝ પઢે તે મોમીન છે,
(૫) અલ્લાહ તઆલાએ ઈમાન અને નમાઝથી વધારે અફઝલ બીજી કોઈ ચીજ પેદા કરી નથી. ફરિશ્તાઓ દિવસ રાત રૂકૂઅમાં છે યા તો સિજદામાં છે.
(૬) નમાઝ દીનનો સ્થંભ છે.
(૭) નમાઝ અફઝલ જેહાદ છે.
(૮) નમાઝ મોમીનનું નૂર છે.
(૯) શયતાનનું મોઢું કાળું કરે છે.
(૧૦) જ્યારે માનવી, નમાઝમાં દાખલ થાય છે, ત્યારે અલ્લાહ તઆલા તેના તરફ પુરી તવજ્જો (ધ્યાન) કરે છે. જ્યારે તે નમાઝમાંથી હઠી જાય છે, ત્યારે તે તવજ્જો હટાવી લે છે.
(૧૧) જ્યારે આસ્માનમાંથી કોઈ આફત ઉતરે છે, ત્યારે મસ્જિદને આબાદ કરનારાઓથી તે આફત વેગળી રહે છે.
(૧૨) જો માનવી જહન્નમમાં (કોઈ કારણસર) જશે, તો સીજદાની જગાને આગ બાળશે નહિ
(૧૩) સીજદાની જગાને અલ્લાહે આગ માટે હરામ ફરમાવી છે.
(૧૪) જે નમાઝ સમયસર પઢવામાં આવે, તે અમલ અલ્લાહની નજરમાં સૌથી વધારે પ્રિય અમલ છે.
(૧૫) માનવીની દરેક હાલતો (સ્થિતિ) પૈકી, તે સ્થિતિ અલ્લાહને સૌથી વધુ પ્રિય છે, જેમાં
માનવી સીજદામાં પડયો હોય અને પેશાની જમીન પર રગડતો હોય.
(૧૬) અલ્લાહ સાથેનું સાનિધ્ય માનવીને સીજદાની સ્થિતિમાં વધુ પ્રાપ્ત થાય છે. (૧૭) જન્નતની ચાવી નમાઝ છે.
(૧૮) જ્યારે માનવી નમાઝ માટે ઉભો થાય છે, ત્યારે જન્નતના દરવાજા ખુલી જાય છે, અલ્લાહ અને નમાઝી વચ્ચેના પડદા હઠી જાય છે.
(૧૯) નમાઝી માણસ એક શહેનશાહ (ખુદાવંદે કરીમ)નો દરવાજો ખટખટાવે છે અને એ જાણીતી વાત છે કે જો દરવાજાને કાયમ ખખડાવો, તો તે ખુલવાનો જ છે.
(૨૦) જેવી રીતે શરીરમાં માથાનો દરજ્જો છે. તેવી રીતે નમાઝનો દીનમાં દરજ્જો છે.
(૨૧) નમાઝ દિલનું નૂર છે, જે પોતાના દિલને નુરાની બનાવવા ઈચ્છતો હોય તે બનાવીલે.
(૨૨) જે શખ્સ સારી રીતે વુઝૂ કરે, તે પછી આજીજી અને નમ્રતાથી બે અથવા ચાર રકઅત નમાઝ યા નફલ નમાઝ પઢીને ગુનાહોની માફી માગે, તો અલ્લાહ તેનો ગુનો માફ કરી દે છે.
(૨૩) ધરતીના જે ભાગ પર નમાઝના ઝરીયાથી અલ્લાહની યાદ કરવામાં આવે છે, તે ધરતીનો ટુકડો, ધરતીના અન્ય હિસ્સા પર ગર્વ અનુભવે છે.
(૨૪) જે શખ્સ બે રકઆત નમાઝ પઢીને
અલ્લાહથી કોઈ દુઆ માગે તો તે દુઆ કબુલ થાય છે. ચાહે તે દુઆ તરત જ કબૂલ કરે યા કોઈ મસ્લેહતને લીધે અમુક સમય બાદ કબૂલ કરી લે છે.
(૨૫) જે શખ્સ એકાંતમાં બે રકઅત નમાઝ પઢે, જેમાં અલ્લાહ અને ફરિશ્તાઓ સિવાય બીજું કોઈ તેને જુએ નહિ, તો તેને જહન્નમની આગથી મુકત થવાનો પરવાનો મળી જાય છે.
(૨૬) જે શખ્સ એક ફર્ઝ નમાઝ અદા કરે, તો અલ્લાહને ત્યાં તેની એક દુઆ સ્વીકાર્ય બની જાય છે.
(૨૭) જે શખ્સ પાંચેય નમાઝની પાબંદી કરે છે, તેમાં રૂકૂઅ, સીજદા, વુઝૂ વગેરેને યોગ્ય રીતે અદા કરે છે, તેના માટે જન્નત વાજીબ થઈ જાય છે અને દોઝખ તેના માટે હરામ થઈ જાય છે.
(૨૮) કોઈ મુસલમાન જ્યાં સુધી પાંચેય નમાઝોની પાબંદી કરતો રહે છે, ત્યાં સુધી શયતાન તેનાથી ડરતો રહે છે અને જ્યારે તે શખ્સ નમાઝોમાં આળસ-ગફલત કરે છે, તે શયતાન તેની પર ગાલિબ થવા માંડે છે અને તેને બહેકાવવાની પેરવી કરે છે.
(૨૯) અવ્વલ સમયમાં નમાઝ પઢવી અફઝલ છે.
(૩૦) નમાઝ દરેક પરહેઝગાર અને તકવાવાળાની કુર્બાની છે.
(૩૧) અલ્લાહ સમક્ષ, અવ્વલ સમયમાં નમાઝ
પઢવી તે વધુ પ્રિય છે.
(૩ર) સવારે જે શખ્સ નમાઝ માટે જાય છે, તેની સાથે ઈમાનનો ઝંડો હોય છે.
(૩૩) ઝોહરની નમાઝ પહેલાં ચાર રકઅતોનો સવાબ એવો છે, જેવો ચાર રકઅત તહજ્જુદનો છે.
(૩૪) ઝોહર પહેલાંની ચાર રકઅતો, તહજ્જુદની ચાર રકઅતો બરાબર છે.
(૩૫) અફઝલતરીન નમાઝ અડધી રાતની છે, પરંતુ તેના પઢનારા ઓછા છે.
(૩૬) માનવી જ્યારે નમાઝ માટે ઉભો થાય છે ત્યારે રહમતે ઇલાહી તેની તરફ ધ્યાનસ્થ થાય છે.
(૩૭) મારી પાસે હઝરત જિબ્રઈલ આવ્યા અને કહ્યું કે, યા રસૂલલ્લાહ ! આપ ગમે તેટલું જીવો, તો પણ એક દિવસ વિસાલ થવાનો છે અને જેનાથી આપ મહોબ્બત કરો, તેનાથી જુદા થવાનું જ છે. આપ જેવો પણ અમલ કરશો, તેનો બદલો અવશ્ય મળશે. તેમાં કોઈ શક નથી, કે મોમીનની શરાફત તહજ્જુદની નમાઝ છે અને મોમીનની ઈઝઝત, લોકોથી વેગળા રહેવામાં છે.
(૩૮) છેલ્લા આખરી પહોરની બે રકઅત (એટલે વહેલી સવારે) તમામ દુનિયાથી અફઝલ છે. જો મને ઉમ્મતની તકલીફનો ખ્યાલ ના હોત, તો હું તેમના પર તે ફર્ઝ કરી દેત.
(૩૯) તહજ્જુદ અવશ્ય પઢયા કરો, કારણ કે
તહજ્જુદની નમાઝ સાલેહીનનો તરીકો છે અને અલ્લાહની ખુશીનું કારણ છે. તહજ્જુદ ગુનાહોને રોકે છે અને ખતાઓની માફી માટે ઝરીયો છે, તેનાથી શરીરની તંદુરસ્તી પણ થાય છે.
(૪૦) અલ્લાહનો ઈર્શાદ છે કે, હે આદમની ઔલાદ ! તુ દિવસના પ્રારંભમાં ચાર રકત પઢવાથી કંટાળીશ નહિ હું આખો દિવસ તારા કામોની સંભાળ રાખીશ.
ભાઈઓ અને બહેનો ! ઉપર મુજબ સરકારે મદીના (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ની ચાલીસ હદીસો નમાઝ વિષે તમે વાંચી ગયા. તેમાં મોટે ભાગે નમાઝ પઢનારા શખ્સને માટે સારી સારી બશારતો છે. પરંતુ નમાઝ નહિ પઢનારા ઈસમો માટે પણ ઘણી જ સખ્ત ચેતવણીઓ આપવામાં આવી છે, તે હદીસો પણ જોઈએ (૧) જેણે નમાઝને બરબાદ કરી, તેમને ટૂંકમાંજ જહન્નમના ખાસ વિભાગમાં નાખવામાં આવશે. (૨) બેનમાઝીની ઉમરમાં બરકત થશે નહિ. (૩) બેનમાઝીના કોઈપણ અમલનો સવાબ મળશે નહિ. (૪) બેનમાઝી ભૂખ અને પ્યાસની હાલતમાં મરશે. તેને તમામ દરિયાઓનું પાણી પણ પીવડાવી દો, તો પણ તેની પ્યાસ બુઝાશે નહિ. (૫) બેનમાઝીની દુઆ કબૂલ થશે નહિ. (૬)બેનમાઝી ઝલીલો ખ્વાર થઈને
મરશે. (૭) બેનમાઝીની કબ્ર તંગ કરી દેવામાં આવશે. (૮) બેનમાઝીનો હિસાબ (આખેરતમાં) સખ્તીથી લેવામાં આવશે. (૯) સાલેહીનની નિશાનીઓ બેનમાઝીના ચહેરા પરથી હટાવી લેવાશે.
આપણા ઈમામે આઝમ અબુ હનીફા કહે છે કે, બેનમાઝીને તે જ્યાં સુધી તૌબાહ ના કરે, ત્યાં સુધી જેલમાં નાખી દો. હઝરત ઈમામ શાફેઈ કહે છે કે, બેનમાઝી કત્લ કરવા લાયક છે. હઝરત ઈમામ હમ્બલ કહે છે કે, નમાઝ છોડવી તે કુફ્રનું કૃત્ય છે. હઝરત ઈમામ માલિક કહે છે કે, જે બેનમાઝી હોય તેને માટે મુસ્લિમ બાદશાહે કત્લનો હુકમ આપવો.
ભાઈઓ ! આપણે જોઈ ગયા કે ઈસ્લામ ને ધર્મમાં અને એક મુસલમાનના જીવનમાં નમાઝનું , કેટલું મહત્વ છે. જો દરેક મુસલમાન પાંચેય સમયની નમાઝનો પાબંદ બની જાય તો મુસ્લિમ સમાજની ઘણી બુરાઈઓની જડ નીકળી જાય. કારણ કે શયતાને ઉભી કરેલી બુરાઈઓની માયાજાળ નમાઝના નૂરના કારણે ભસ્મીભૂત થઈ જ જશે, તો આવો આજે આપણે દ્રઢ અને મજબૂત ઈરાદો કરી લઈએ કે આપણે પોતે નમાઝી બનીશું, આપણા ઘરમાં દરેકને નમાઝી બનાવીશું અને યથાશક્તિ મહોલ્લામાં અને
સગાવ્હાલામાં નમાઝનો પયગામ પહોંચાડીશું.
મુશ્કીલકુશા, હઝરત અલી (કર્રમલ્લાહો વજહહૂ) ફરમાવે છે કે, (૧) નમાઝ અલ્લાહની ઓળખ માટે મશાલ છે (૨) નમાઝ ઈસ્લામની જડ અને બુનિયાદ છે (૩) નફસ અને શયતાનના મુકાબલા માટે નમાઝ મોટું હથિયાર છે. (૪) મૃત્યુ સમયે, મૌતના ફરિશ્તાને નમાઝ સીફારીશ કરશે. કે, આ માણસની રૂહ સરળતાથી કબ્જ કર. (૫) નમાઝ કબ્રમાં રોશનીનો ઝરીયો છે. (૬) નમાઝ કયામત સુધી મૈય્યતની કબ્રમાં સાથીદાર છે. (૭) નમાઝ, કયામતના દિવસે નમાઝીના માથે સાયો કરશે. (૮) નમાઝ તો નમાઝીના માથાનો તાજ અને બદનનો લિબાસ છે. (૯) નમાઝ અલ્લાહ પાસે હુજ્જત કરીને નમાઝીને બખ્શાવી દેશે. (૧૦) બધા ગુનાહોની સામે નમાઝનું વજન વધી જશે. (અર્થાત નમાઝીનું પલ્લું ભારે રહેશે.) (સંપૂર્ણ) તયબાહ ૧-૧૧-૨૦૦૪
અનુક્રમણિકા પર પાછા જાઓ

શૈતાન

સંપાદક: અબ્દુલ કૈયુમ બહોરા
* ઇબ્લીસ શૈતાનની પૈદાઇશ સિજજીનમાં ભેડીયા અને સાપમાંથી થઈ ઇબ્લીશના બાપનું નામ ખબલીશ જેની સુરત સાપ જેવી અને માનું નામ નબલીશ હતું જેની સુરત ભેડીયા જેવી હતી.
* અલ્લાહની બારગાહમાં મરદૂદ થયા પહેલા તેનું નામ અજાજીલ હતું.
* અલ્લાહની નાફરમાની આદમ અલયહિસ્સલામથી કિનો ઈર્ષાને કારણે અલ્લાહે નેઅમત અને રહેમતથી માયૂસ કરી દીધો. તેના ખરાબ કામોને લીધે ઈબલીસ નામથી કુખ્યાત-બદનામ થઈ ગયો.
* ઇબલીશની કુન્નિયત અબુ કરદોસી યા અબુ કતરા છે. લકબ શેખ નજદી
* શૈતાન ચાલીસ હજાર વરસ જન્નતનો ખજાનચી રહ્યો.
* શૈતાને અર્શનો તવાફ ચૌદ હજાર વરસ કરેલ છે.
* મલાઈકાના સરદાર તરીકે ઇબલીસ ૮૦,૦૦૦ વરસ રહ્યો ૨૦,૦૦૦ વરસ (નસીહત) કરતો રહ્યો.
ઇબલીસના અલગ આસમાન ઉપર અલગ-અલગ નામ :-
પેહલા આસમાન ઉપર આબિદ.
બીજા આસમાન ઉપર જાહિદ.
ત્રીજા આસમાન ઉપર આરિફ.
ચોથા આસમાન ઉપર વલી.
પાચમાં આસમાન ઉપર તકી.
છઠ્ઠા આસમાન ઉપર ખાજિન.
સાતમા આસમાન ઉપર અજાજીલ.
* સૌથી પહેલા ઇબલીસ ઉપર લાનત મોકલનાર જિબ્રઇલ
અલયહિસ્સલામ હતા. બાદમાં મિકાઈલ અલયહિસ્સલામ, ઇસરાફીલ અલયહિસ્સલામ, ઈઝરાઈલ અલયહિસ્સલામ.
* દુનિયામાં શૈતાનને મંગળવારના દિવસે ઉતારવામાં આવ્યો.
* હઝરત ઇશા અલયહિસ્સલામ પૈદા થયા તો ત્રીજા આસમાન ઉપર શૈતાનને રોકી દેવામાં આવ્યો. સરકારે મદીનાની વિલાદત થઈ તો તમામ આસમાન ઉપર રોકી દેવામાં આવ્યો.
* શૈતાન ડાબી જાંગ અને જમણી જાંગ મિલાવીને ઝિના કરી ખુદ ગર્ભધારણ કરી શૈતાનને જન્મ આપે છે.
* શૈતાન રોજ દસ ઇંડા આપે છે. દરેક ઇંડામાં ૭૦ શૈતાન અને શૈતાનિયા હોય છે.
* દરેક ઈન્સાન સાથે તેનો હમઝાદ શૈતાન હોય છે.
* લાકસ અને વલહાન યા હદીસ નામનો શૈતાન નમાઝ અને પાકી માં વસવસા નાખે છે.
* એક શૈતાનનું નામ મર્રા છે. જે તેની કુન્નિયત છે.
* જનુબર નામનો શૈતાન બજારોમાં લોકોને ભેગા કરવા, જૂઠી કસમો ખવડાવવી, સામાનોની જુઠી તારીફ કરાવવા નું કામ કરે છે.
* બતર નામનો શૈતાન મુસિબતના વખતમાં પોતાના મોં પર તમાચા મારવા કપડાં ફાડવા આહોજારી કરવા તૈયાર કરે છે.
* આઓર નામના શૈતાન સ્ત્રી પુરુષોમાં ઝિનાકારી માટે ઉશ્કેરે
છે.
* મતરૂસ અફવા ફેલાવાનું કામ કરે છે.
* દાસમ નામનો શૈતાન જે વ્યકિત ઘરમાં સલામ વગર દાખલ થાય તો તે સાથે દાખલ થાય છે. ઘરવાળાઓને ગુસ્સો કરાવે છે જેથી લડાઈ ઝઘડા થાય છે.
* મલઉન નામી શૈતાન આદમ અલયહિસ્સલામની ઔલાદને ગુમરાહ કરવા માટે મથે છે.
* મદહશ નામી શૈતાન (આલિમોમાં) લાલચની તર્ગીબ દેવા પર નિયુકત છે.
* હદીસ નામી શૈતાન નમાજ ભુલાવા, ખેલકુદમાં દિલ લગાવવા, બહેકાવવા, બગાસા માટે ઉંઘવા માટેનું કામ કરાવે છે.
* જબનૂન નામી શૈતાન બજારોમાં ઓછું તોલવા ખરીદ વેચાણમાં જૂઠ બોલવું, સામાન સજાવવા અને તારીફ કરાવે છે.
* મનસૂત જૂઠ બોલવા યૂગલી કરવા અને બીજા ગુનાહના કામની તર્ગીબ આપે છે.
* બતને નખલામાં જે જિન્નાત ઇસ્લામથી મુશર્રફ થયા તેમની સાથે ઈબ્લીસનો બેટો પણ સરકારે મદીના પર ઈમાન લાવ્યા.
* ઈબ્લીસની પત્નીનું નામ રસલ છે.
ઇલ્મનો ખઝાનો પૃ.૨૦૮,૨૦૯,૨૧૦
અનુક્રમણિકા પર પાછા જાઓ